પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


એમને વફાદાર, મહેનતુ અને સાચા સાથી નહિ મળ્યા હોત જય ન જ મળી શકત. પણ એટલું કહેવું તેયે બસ નથી. -સત્યાગ્રહનો એવો નિયમ છે કે કોઈને દુશ્મન ન ગણીએ, પણ એવા મનુષ્યો હોય છે જેમને આપણે દુશ્મન ન ગણીએ તોપણ આપણને દુશ્મન ગણે ને પેાતાને આપણા દુશ્મન મનાવે. આપણે તેવા મનુષ્યોનો નાશ નહિ, હૃદયપલટો ઇચ્છીએ.

અનેકવાર સરદારે તમને તેમજ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોનો હ્રદયપલટો નહિ થાય ત્યાં સુધી સમાધાન થવું શક્ય નથી. હવે સમાધાન થઈ શક્યું છે તો ક્યાંક હૃદયપલટો થયો જ હશે. સત્યાગ્રહી એવો ગર્વ સ્વપ્ને પણ ન કરે કે પોતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તો શૂન્ય. સત્યાગ્રહીનું બળ એ ઈશ્વરનું બળ છે. તેના મોમાં એ જ હોય : ‘નિર્બલ કે બલ રામ.’ સત્યાગ્રહી પોતાના બળનું અભિમાન છોડે તો જ ઈશ્વર તેને મદદ કરે. ક્યાંક હૃદયપલટો થયો હોય તેને માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતો નથી.

એ હૃદયપલટો ગવર્નરસાહેબનો થયો એમ આપણે માનવું જોઈએ. જો તેમનો હૃદયપલટો ન થયો હોત તો શું થાત ? જે કંઈ થાત તેનું આપણને તો કશું દુ:ખ નહોતું. આપણે તો પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તોપ લાવે તોપણ આપણને તેની ચિંતા નહોતી. આજે જયનો ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષંતવ્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવર્નર છે એમ હું તમને મનાવવા ઈચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હોત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે બારડોલીના લોકને ગોળીબારથી ઉડાડી દેવા તો તે આપણને મારી શકત. તમારી તો પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તો પણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂંઠ પણ બતાવવાના નથી, તમે તેમની ગોળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નરે ઇચ્છ્યું હોત તો બારડોલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી તો બારડોલીનો તો જય જ થાત, પણ તે જુદા પ્રકારનો જય હોત. તે જય ઊજવવા આપણે જીવતા ન હોત, આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ એટલું કઠણ હૃદય આપણા કોઈમાં - અમલદારમાં પણ - ન ઇચ્છીએ. આ બારડોલી તાલુકાની જંગી સભા કે જ્યાં ૧૯૨૨ની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છો, ત્યાં આ વાત આપણે રખે ભૂલીએ.

૨૮૫