પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

 આભારની લાગણીથી એટલો બધો દબાઈ ગયો છું કે કયા શબ્દોમાં તમારો આભાર માનું એ મને સૂઝતું નથી. અત્યારે મારી લાગણીઓ એવી છે કે તમારી પાસે કંઈ પણ બોલ્યા સિવાય મૂંગો જ બેસું. છતાં જે માનપત્રો તમે આપ્યાં છે તેનો કંઈક જવાબ મારે આપવો જોઈએ. તેથી ટૂંકામાં બે શબ્દો કહું છું તે શાંતિથી સાંભળશો.

તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું છું કે તમે પ્રેમના આવેશમાં જે અતિશયોક્તિભરેલી વાતો મારે માટે લખી છે તે હું પી જાઉં તો ચાલી શકે, પણ આ વાત ન ગળી શકાય એવી છે. તમે સૌ જાણતા હશો કે મહાભારતમાં દ્રોણાચાર્યને એક ભીલ શિષ્ય હતો, જેણે દ્રોણાચાર્ય પાસેથી એક પણ વાત સાંભળી નહોતી. પણ ગુરૂનું માટીનું બાવલું કરી તેનું પૂજન કરતો અને તેને પગે લાગી દ્રોણાચાર્ચની વિદ્યા શીખેલો. જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી દ્રોણાચાર્યના બીજા કોઇ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ? કારણ કે એનામાં ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રદ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હતું, એનામાં લાયકાત હતી. મને તમે જેનો શિષ્ય કહો છે તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિષે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિષે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત. મને આશા છે કે હિંદુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહિ કર્યાં હોય, જેમણે એમનાં શરીરની નહિ પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ. કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિષે નિર્ભય છું. એમણે તો કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે. આપણે એ કરીશું તો એમને તો કશું કરવાનું રહેતું નથી. એમને જે આપવાનું હતું તે એમણે આપી દીધું છે. હવે આપણે એ કરવાનું રહેલું છે. બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયાને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે, અને એ માત્રા ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી

૨૯૨