પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતવાણી
 


અસહકાર, સત્યાગ્રહ, સવિનય ભંગ જેવા શબ્દોનું કરોડોવાર નામ લેવાય છે, એને નામે જેમ સારાં કામ થયાં છે તેમ કેટલીવાર જૂઠાં કામ પણ થયાં છે. એનું નામ લઈએ છીએ, કારણ દરેક પક્ષના કાર્યકર્તામાં સ્વરાજની ઝંખના રહેલી છે. પણ માત્ર ઝંખનાથી અર્થ નથી સિદ્ધ થઈ શકતો. તરસ્યા માણસની તરસ ‘તરસ’ ‘તરસ’ પોકાર્યે નથી છીપતી, પણ તળાવ, કૂવા ખોદાવે અથવા તેમાંથી પાણી મંગાવે, એટલે તરસ છીપવાનો ઉદ્યમ કરેલે જ છીપે છે. તેમ તમે અહીં સત્યાગ્રહની સ્તુતિનાં વચન સાંભળી કૃતકૃત્યતા માનશો તો ભૂલ કરવાના છો.

એટલે મારી તમને વિનંતિ છે કે તમે સત્યાગ્રહનું રહસ્ય સમજો. બારડોલીમાં વલ્લભભાઈ પટેલનો વિજય નથી થયો, સત્ય અને અહિંસાનો વિજય થયો છે. જો એ તમને બરોબર થયું છે એમ ભાસતું હોચ તો એનો પ્રત્યેક કાર્યમાં તમે પ્રયોગ કરો. એ પ્રયોગથી તમને સફળતા મળશે જ એમ તો હું ન કહી શકું. ઈશ્વરે આપણને ત્રિકાળદર્શી નથી કર્યા એટલે સફળતા સાચી મળી છે કે નહિ એની આપણને ખબર નથી પડતી. માણસ સફળ થયો કે અસફળ થયો તે આખર સુધી કહી નથી શકતો. એટલે જ મણિલાલ પેાતાનું અમર વાક્ય કહી ગયા છે : ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’ એટલે નિરાશ થઈને, નિષ્કામ ભાવથી જે સત્ય અને અહિંસાની વલ્લભભાઈએ આરાધના કરી તે સત્ય ને અહિંસાની તમે પૂર્ણ આરાધના કરશો તો તમને જયમાળા પહેરાવનારાં તો મળી જ રહેશે.

૨૯૫