પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વાળ્યા હતા. ત્યારપછી અનેક ભાષામાં શ્રી વલ્લભભાઈએ સરકારની નીતિ ઉઘાડી પાડતાં કહ્યું હતું : “ચેાર્યાસીને અન્યાય થયો છે એમ કબૂલ કરતા હો તો તેને આજથી જ ન્યાય આપો, તેણે તો લડત પણ માંડી નથી. તમે તો તેણે પૈસા ભર્યા તેનો અવળો અર્થ કરીને એમ સમજાવવા માગો છો કે ત્યાં થયેલો વધારો ન્યાયી હતો એમ લોકો માને છે.” લોકોને શ્રી. વલ્લભભાઈએ વારંવાર કહેલું, અને તા. ૧૯ મી જૂન ૧૯૨૮ ને રોજ ચોર્યાસી તાલુકાના ખેડૂતોની આગળ ભાષણ આપતાં પણ કહેલું: “તમારા ચોર્યાસી તાલુકાનો પ્રશ્ન તો શરૂઆતથી બારડોલી સાથે સંકળાયેલો છે જ, અને આ લડતમાંથી બારડોલીને જે કાંઈ ઇન્સાફ મળે તે ચોર્યાસીને મળ્યા વિના રહેનાર નથી. . . . બારડોલીના ખેડૂતો જે દુ:ખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તે સાથે તમને પણ મળવાનો છે એ ખચીત માનજો.” આ વચનો સાચાં પડ્યાં, અને બારડોલીની સાથે ચોર્યાસીને પણ પોતાને થયેલો અન્યાય સાબિત કરવાની તક મળી. સાહેબો અમને વારંવાર પૂછે: ‘તમે ચોર્યાસીમાં પણ આવવાના ?’ અમે કહીએ, ‘હા.’ એટલે તેમને આશ્ચર્ય થાય. ‘ચોર્યાસી સત્યાગ્રહમાં ભળેલો નહિ, છતાં સત્યાગ્રહીઓનું ત્યાં શું લાગે વળગે ?’ એમ તેમને થતું હશે. પણ અમે જ્યારે આગ્રહપૂર્વક કહ્યું કે લોકો ઈચ્છે છે કે અમારે તેમના તરફથી પણ કેસ રજૂ કરવો, એટલે સાહેબના મનનું સમાધાન થયું. એટલે ચોર્યાસી તાલુકાનાં ગામોની તપાસ દરમ્યાન પણ અમે જ હાજર રહ્યા હતા. બારડોલીમાં પ૦ ગામો અને ચોર્યાસીમાં ૨૦ ગામો તપાસાયાં.

તપાસ દરમ્યાન દરેક અઠવાડિયે ‘નવજીવન’માં હું તપાસના હેવાલ મોકલતો. એ હેવાલ જેમના તેમ છાપવાની ઇચ્છા પહેલાં તો હતી, કેટલાક ‘નવજીવન’ના વાચકે પણ એવી ઈચ્છા બતાવી હતી, પણ સામાન્ય વાચકના ધૈર્ય ઉપર એથી બહુ મોટો બોજો પડે એમ સમજીને એ વિચાર માંડી વાળ્યો. આ પછીનાં પ્રકરણોમાં સામાન્ય વાચકને રસ પડે એવી રીતે આખી તપાસનું અને તેના પરિણામનું સામાન્ય વર્ણન આપવામાં આવ્યું છે.

૩૦૦