પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ભાવ વધ્યા છે તે વિષે તો અમે ગામેગામે બતાવી આપ્યું તે સ્વીકારી લઈને સાહેબો લખે છે કે કપાસના ભાવના ઉછાળાએ તો લોકોનું ઉજાળ્યું નહિ પણ નખોદ વાળ્યું કહેવાય, કારણ એ ભાવથી તણાઈને મોટાં મોટાં ગણોતો આપ્યાં, એમાં કણબી-અનાવલા પણ મૂરખ બન્યા, અને ગણોતનો સટ્ટો ચાલ્યો.

આખરે વધેલા ભાવ ઉપર શ્રી. જયકરે કરેલા વધારા વિષે સાહેબોએ જણાવ્યું :

“એમણે ૩૩ ટકા ઠરાવ્યા તેના કરતાં ૨૦, ૧૫ કે ૧૦ ઠરાવ્યા હોત તોયે ચાલત, કારણ બધું મંડાણ અટકળ ઉપર જ બંધાયેલું હતું, અને મિ. ઍંડર્સને કહ્યું છે તેમ મિ. જયકરે મુખ્ય દરવાજો જ ખુલ્લો રહેવા દીધો.”

ભાવોને વિષે બોલતાં અસાધારણ વર્ષોના ભાવ ધ્યાનમાં લેવા ન જોઈએ એવો પણ ખેડૂતોનો એક વાંધો હતો. તે વિષે સાહેબો રિપોર્ટમાં જણાવે છે :

“જુવારના ભાવ ૧૮૯૭, ૧૯૦૦, ૧૯૦૮, ૧૯૧૨ અને ૧૯૧૪ માં એક જ હતા, અને ૧૯૨૮ માં એના એ હતા. ભાતના ભાવ પણ ૧૯૨૮માં ૧૯૧૪ ના જે હતા તે જ હતા. એટલે ૧૯૧૪ થી તે ૧૯૨૪ના ગાળામાં જે ભાવ હતા તે સાધારણ હતા, એટલું જ નહિ પણ ભાત, જુવાર વગેરે, અનાજના ભાવો તો લડાઈ પહેલાં હતા તેના કરતાં બહુ વધશે એવી વકી નથી. કપાસની વાત જુદી છે. ૧૯૨૪ પછી ઓછામાં ઓછા ભાવ ૧૯૧૪ ના કરતાં ૩૩ ટકા વધારે છે, અને હવે કદાચ ભાવ નહિ ઊતરે. પણ જુવાર અને ભાત તો ખાવાને માટે જ વપરાય છે. વળી ખાવાની વસ્તુ સસ્તી મળે તો તો મજૂરીના ભાવ પણ ઘટવાનો સંભવ છે, અને ખેતીનાં ખર્ચ પણ એાછાં થાય. એટલે બહુ નિરાશાને કારણ નથી. પણ શ્રી. જયકરે જે વધારો ભાવના વધારાને આધારે કર્યો છે તે તો ટકી શકે એમજ નથી.”

આમાં જુવાર અને ભાત સિવાય બીજી હજાર વસ્તુ ખેડૂતોને જોઈએ છે, અને એ બધી વસ્તુના ભાવ વધ્યા છે તે વાત સાહેબોએ ધ્યાનમાં જ ન લીધી, અને ખેતીની મજૂરી, બળદ, ઓજાર, ગાડાંના ભાવ ત્રણચારગણા વધ્યા છે એવો પુરાવો અમે આપ્યો છતાં તે ઉપર ધ્યાન ન આપ્યું. એ વાત ધ્યાનમાં લેત તો તાલુકામાં ૬ ટકાનો વધારો તેમણે કર્યો તે વધારો તેઓ ન કરી શકત.

૩૧૦