પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
ખેતીનો નફો !
 


‘પણ જે આપે તેને તો ફાયદો થાય જ છે ના?’

‘પણ એ કેટલા આપે છે એનો જ પ્રશ્ન છે. આપ જો અમને સિદ્ધ કરી આપો કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણોતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લો.’

‘પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ મોહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તો જોઈ એ જ ના ? તમે નફાતોટાની ગણત્રી કરો છો તે ગણત્રી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસે જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?’

‘એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણોતો તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તો વિશ્વાસપાત્ર મળતાં નથી ?’

‘પણ અમે ક્યાં ગણોતના આધારને વરેલા છીએ ? અમે તો કહીએ છીએ કે આવી ગણત્રી કરવામાં તો દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.’

‘એ તો રહેવું જ પડે તો. સેટલમેંટ ૩૦ વર્ષને માટે કરવું એ કંઈ રમત વાત છે ? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.’

‘એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?’

‘એ તો આપ જાણો. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આ૫ વધારે વિચાર કરજો.’

આ ઉપરથી જણાશે કે મહેસૂલ ગણોતને આધારે ઠરાવવાના સિદ્ધાન્તના મૂળમાં એ વાત ગ્રહણ કરી લેવામાં આવે છે કે બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તેનું અમુક ગણોત મળે, અને એ ગણોતના પ૦ ટકા સુધી મહેસૂલ લેવું જોઈએ. પણ બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તે લે કોણ અને ગણોત મળે ક્યાંથી એ સવાલનો અમલદારો કે સરકાર જવાબ આપવાની દરકાર કરતી નથી.

૩૨૯