પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 તો મેળવવી જ અશક્ય છે, એમ તેમણે અનુભવે જોયું, અને થોડાં વર્ષોની માહિતી મેળવતાં પણ કેટલો બધો સમય જાય છે તે તેમણે ઘડિયાળ રાખીને જોયું. દાખલા તરીકે વાંકાનેર ગામમાં છેલ્લાં સાત વર્ષ નાં ૩૧ ગણોતો તપાસતાં તેમને પાંચ કલાક લાગ્યા, કારણ કેટલાયે દાખલાઓમાં તો પક્ષકારો કાં તો મરી ફિટેલા હતા, અથવા હાજર નહોતા, અને હાજર હોય તો તેમને હકીકતની માહિતી નહોતી. વાલોડમાં ૨૪ ગણોત તપાસતાં ૨ કલાક, ડીંડોલીમાં ૧૧ ગણોત તપાસતાં બે કલાક, સૂપામાં ૯ ગણોત તપાસતાં ૧ાા કલાક લાગ્યો હતો એમ તેઓ રિપોર્ટમાં જણાવે છે. આ બધું બતાવીને તેઓ કહે છે કે શ્રી. જયકરને માટે છેલ્લાં સાત વર્ષનાં ગણોતો પણ પૂરાં તપાસી જવાં અશક્ય હતાં, છતાં અગાઉના એકબે રિપોર્ટની ભાષા ચોરી લઈને તેના તે જ શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે એ બધાં ગણોતો તપાસવામાં આવ્યાં છે. વળી લોકોએ જે કહ્યું તેને વધારે પડતું વજન ન આપવાની ઇચ્છા છતાં અમારે જણાવવું જોઈએ કે એ તાલુકાનાં ૭૦ ગામો અમે જોયાં તેમાં શ્રી. જયકરે ગણોત તપાસી જોવાની તસ્દી પોતે જરાય લીધી હોય એમ અમને લાગ્યું નથી, એમ અમલદારો સ્પષ્ટ જણાવે છે.

પણ એ આંકડા બરાબર તપાસાયા છે એમ માનીને સેટલમેંટ કમિશનર મિ. ઍંડર્સને તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, અને જ્યાં ગણોત મહેસૂલના કરતાં અનેકગણાં દીઠાં ત્યાં ગામના વર્ગો ચડાવ્યા. એક રમૂજી દાખલો અમલદારોએ ટાંક્યો છે તે અહીં આપવા જેવો છે:

“સમરોદ નામના ગામમાં ૧૯૧૮ થી ૧૯૨૫ માં ગણોતે અપાયેલી કુલ જમીન ૧૦૬ એકર ૩૫ ગુંઠા છે. તેનો આકાર રૂ. ૪૨૮-૫, અને ગણોત રૂ. ૨૬૦૨-૧૨ છે. આ પ્રમાણે જોઈએ તો ગણોત મહેસૂલ કરતાં છગણું છે એમ થયું. હવે જયકરના રિપોર્ટમાં એ જ સાત વર્ષના ગણોતના આંકડા આ આપ્યા છે : જમીન પ૩ એકર ૧૯ ગુંઠા, આકાર ૧૦૫ રૂપિયા, ગણોત ૧૧૮૬ રૂપિયા. ખૂબી એ છે કે ૧૯૧૮-૧૯ ના એક જ વર્ષના આંકડા સાથે આ આંકડા લગભગ મળતા આવે છે, કારણ કે વર્ષમાં કુલ ગણોતે અપાયેલી જમીન પર એકર ૨૬ ગુંઠા છે, અને ગણેાત રૂ. ૧૨૨૧-૪

૩૩૪