પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
ગૂંચઉકેલ?
 


ઠરાવ કરી દીધો, અને તાલુકાની ઉપર ૬ ટકાનો કુલ વધારો ઠરાવ્યો. રિપોર્ટનો ખંડનાત્મક ભાગ કેવો અમૂલ્ય છે તે આપણે જોઈ ગયા. રચનાત્મક ભાગ કેવો નબળો અને પાયા વિનાનો છે તે આટલી એક વસ્તુ ઉપરથી જ જણાશે. પણ છ ટકા વધારવામાં પણ ગામોને કેટલો અન્યાય થયો છે તે જરા વીગતમાં ઊતરવાથી જણાશે.

કમિટીએ જે આંકડા તપાસ્યા તેમાં તાલુકાનો જૂજ ભાગ આવે છે એમ તેમણે કબૂલ કર્યું છે. એ જૂજ ભાગ એટલે કેટલો તે જોઈએ. કમિટીએ બારડોલીનાં ૧૩૭ ગામમાંથી ૪૯ ગામ તપાસ્યાં; આ ૪૯ માંથી ૪૦ ગામમાં જ ગણોતના આંકડા મળ્યા અથવા તપાસી શકાયા; અને આ ૪૦ ગામના આંકડામાં પણ ૧૭ ગામના આંકડા એટલા જૂજ હતા કે ત્યાં એકરે સામાન્ય રીતે કેટલું ગણોત ઊપજે છે તે વિષે અનુમાન કરવું અશક્ય છે એમ કમિટી કબૂલ કરે છે, એટલે બધું ૧૩૭ ગામનું મંડાણ ૨૩ ગામના આંકડા ઉપર રચાયેલું છે ! ક્ષેત્રફળની દૃષ્ટિએ ગણતરી કરીએ તો તાલુકાના ૧,૨૦,૦૦૦ એકરમાંથી ૮ થી ૧૨ મા ભાગ જેટલી જમીન ગણાતો અપાય, અને તેમાંથી માત્ર ૧,૬૧૦ એકરના આંકડા તપાસ્યા ! એટલે કુલ ક્ષેત્રફળના એક ટકા જેટલા હિસ્સાના આંકડા, અને ગણોતે આપેલી જમીનના ૮ થી ૧૦ ટકા જમીનના આંકડા. આ એક વાત. બીજી વાત એ કે આ આંકડા ભેગા કરવામાં અને એના ઉપર આધાર રાખવામાં તો પાર વિનાની કાળજી લેવી જોઈએ છતાં (એ બધી કાળજી કમિટીએ લીધી છે એ તેનો દાવો છે ખરો), અને કેટલાંક ગામોમાં કશું અનુમાન ન ખેંચી શકાય એ છતાં કમિટી માને છે : “જેટલા આંકડા ભેગા થયા તેટલામાંથી ઉત્તમ પરિણામ આવ્યાં છે, અને એ આંકડા ઉપર જ અમે બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આધાર રાખ્યો છે.”

ખેડૂતો ખાધેપીધે સુખી છે એમ કમિટીના અમલદારોએ માની લીધું એમ આપણે અગાઉનાં પ્રકરણમાં જોઈ ગયા, એટલે ‘મધ્યમસર’નો વધારો સૂચવવાની અમલદારોને ફરજ લાગી,

૩૩૭