પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કરનારાઓનો શિરોમણિ હું છું. આ આરોપને મારા કરતાં એ આરોપ કરનારા જ વધારે પાત્ર છે એમ મારે જણાવવું જોઈએ. સરકારના હેતુઓ અને કાર્યોના અર્થ અને અનર્થ કરવાની જરૂર જ શા સારુ હોય ? તે હેતુઓ અને કાર્યો પોતે જ ઘાંટો પાડીને પોતાની જાત પોકારે છે. સરકારની મહેસૂલનીતિ કેવી ભક્ષક અને રક્તશોષક છે એ બતાવવાને માટે અનેક સેટલમેંટ કમિશનરોના રિપોર્ટમાંથી જોઈએ તેટલા ઉતારાઓ હું આપી શકું એમ છું. માત્ર માતર તાલુકાના સેટલમેંટ રિપોર્ટમાંથી એક ઉતારો હું આપીશ. માતર તાલુકાની દરિદ્રી સ્થિતિ છતાં ત્યાંના કલેક્ટર મિ. ઘોસલે દરમાં વધારો સૂચવ્યો હતો. એની ઉપર ટીકા કરતાં સેટલમેંટ કમિશનરને લાગ્યું કે કલેક્ટરે જે ભાષા વાપરી છે તે લૉર્ડ સૉલ્સબરીનું પ્રસિદ્ધ વાક્ય (‘હિંદુસ્તાનનું લોહી એટલું ચુસાઈ ગયું છે કે તે હવે ધોળી પૂણી જેવું થઇ ગયું છે’) યાદ કરાવે છે. આ રહ્યા સેટલમેંટ કમિશનરના શબ્દો : ‘એાછા કરેલા દરમાં મિ. ઘોસલ જે વધારો સૂચવે છે તે હું સ્વીકારી નથી શકતો. હું તો આસિસ્ટંટ સેટલમેંટ કમિશનર સૂચવે છે તેના કરતાં પણ વધારે ઘટાડો સૂચવું. દરદીને બંધક દવાઓ આપી તેથી ફાયદો નથી જણાયો. હવે રેચક આપી જોવી જોઈએ. પછી ૩૦ વર્ષે જો તે ખૂબ માતેલો દેખાય તો પછી આપણે ૧૯૪૭ માં વધારે પ્રામાણિકતાથી મહેસૂલ વધારી શકીએ છીએ.’ બારડોલીમાં તો થોડો વસ્તી વધારો થયો છે, એટલે સરકારની નજરે તો તાલુકો એટલો બધો માતી ગયો છે કે એનું લોહી થોડું ચૂસવું જ જોઈએ. એટલે પોતાના છેલ્લા કાગળમાં સરકાર ઠંડે પેટે લખે છે : ‘બારડોલીના લોકોએ દેવાળું તો નથી કાઢ્યું કે દેવાળું કાઢવાની અણિએ પણ નથી પહોંચ્યા એ ચોકસ છે.’ સરકારના પોતાના અમલદારોએ તૈયાર કરેલા આંકડાઓ અને તેમનાં વચનો સરકારને અનુકૂળ ન પડે એટલે તે સંબંધ વિનાનાં ગણાય, અથવા ન સ્વીકારવા જેવાં ગણાય ! સરકારના પહેલા પત્રમાં કશા કારણ કે આધાર વિના જણાવવામાં આવ્યું હતું : ‘ગુજરાત પ્રાંતને સરકારની જમીનમહેસૂલનીતિથી બહુ ખમવું પડ્યું છે એ તમારું વચન ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારવાને તૈયાર નથી.’ એના જવાબમાં આખા પ્રાંતની સ્થિતિ દર્શાવનારા આંકડાઓ સરકારનાં જ ચોપડાંમાંથી મેં ટાંક્યા. આનો જવાબ સરકાર એ આપે છે કે આખા પ્રાંતમાં સૂઝે તે સ્થિતિ હોય, બારડોલી અને ખેડાની વચ્ચે શું સંબંધ છે ? અગાઉના સેટલમેંટ કમિશનરે બારડોલી તાલુકાના કરજનો આંકડો આપેલો તે ટાંકી મેં કહ્યું કે ૩૦ વર્ષ ઉપર પણ તાલુકો ઠીકઠીક કરજદાર દશામાં હતો, તો સરકાર

૩૪૮