સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો બે શરતે બંધાય છે — એક તો એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે, અથવા તો નિષ્પક્ષ પંચ નીમે, તો તેઓ તુરત મહેસૂલ ભરી દે. ઓ બેમાંથી એક રસ્તો કોઈ પણ આબરૂદાર સરકારને લેવો મુશ્કેલ ન હોવો જોઇએ.
૧ લી માર્ચ, ૧૯૨૮.
વિષ્ટિનો પત્ર
(નામદાર ગવર્નરને શ્રી. વલ્લભભાઈનો પત્ર)
સાહેબ,
આપ નામદારને હું જે બાબત લખવાની રજા લઉં છું તેમાં ગુજરાતના એક લાખ ખેડૂતોના હિતનો પ્રશ્ન સમાયેલો છે. આ કાગળ હું આપને ભારે સંકોચ સાથે અને મારી જવાબદારીનો ચોકસ ખ્યાલ રાખીને લખું છું. વળી હું સીધો આપ નામદારને જ લખવાની છૂટ લઉં છું, કારણ એ બાબત અતિશય જરૂરી છે તથા લોકોને માટે અને કદાચ સરકારને માટે પણ બહુ મહત્ત્વની છે.
સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીન મહેસૂલની નવી આકારણીમાં ૨૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, અને મહેસૂલી ખાતાના તા. ૧૯ મી જુલાઈ ૧૯ર૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪ની રૂએ તેનો અમલ ચાલુ સાલથી થવાનો છે. આથી લોકોનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, અને પોતાને ભારે અન્યાય થયો છે એમ તેઓ માને છે. રાહત મેળવવાના બધા સામાન્ય ઇલાજો અજમાવી લીધા પછી તેમની એક પરિષદ બારડોલી મુકામે ખેડૂતોને એકતરફી, અન્યાયી અને જુલમી લાગતી આ નવી આકારણીનો વિરોધ કરવાનો વિચાર કરવા મળી. એ પરિષદનું પ્રમુખપદ લેવા તેમણે મને નિમંત્રણ કર્યું. છેલ્લા પખવાડિયામાં આ બાબત આ તાલુકાનાં અનેક ગામોની અરજીઓ મારી પાસે આવી હતી. પરિષદનું કામ શરૂ થતાં પહેલાં ૭૫ થી પણ વધારે ગામોના પ્રતિનિધિઓને હું મળ્યો. કોઈ પણ ગામનો એક પણ પ્રતિનિધિ એવો નહોતો જે આ આકારણીને અન્યાયી ન માનતો હોય. પાંચ ગામના પ્રતિનિધિઓએ મહેસૂલમાં થયેલો વધારો જ ફક્ત ન ભરવાની ઇચ્છા દર્શાવી. તેટલાં ગામો અપવાદરૂપે બાદ કરતાં બાકીનાં ૭૦ કરતાં વધારે ગામોએ, જ્યાં સુધી દાદ ન મળે ત્યાં સુધી આખું નવું મહેસૂલ ભરવા ના પાડવાનો પોતાનો નિર્ણય એકેઅવાજે જાહેર કર્યો. આમ બહુ ગામોનો મત જોઈ