પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


ખેતરો ઉપર જઈ ખેડૂતો સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. આ ઇલાકામાં આકારણીનું કામ કરવાની જે પ્રથા હમેશની ચાલી આવી છે તે મુજબ જ તેમણે આમ કરેલું છે. અને આ બાબતમાં કાયમના હુકમો છે તેના અમલમાં કશો ફેરફાર તેમણે કર્યો નથી, એટલે લોકોને પોતાની ફરિયાદો સાંભળાવાની તક મળી નહોતી એમ કહેવું ખરું નથી.

૫. તમે આગળ કહો છો કે ‘સરકારી અમલદારોએ ગણોતપટા અને સાંથના આંકડાઓ ઉપર આધાર રાખ્યો છે, જે ધોરણ આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં આ વખતે સરકારે પહેલી જ વખત સ્વીકાર્યું.’ આ કથન તમે કયા આધારે કહો છો તે ગવર્નર અને તેની કાઉન્સિલ નક્કી કરી શકતા નથી. લૅંડ રેવન્યુ કોડની ૧૦૭ મી કલમ કહે છે કે જમીનમહેસૂલની આકારણી કરતી વખતે જમીનની કિંમત ધ્યાનમાં લેવામાં આવશે. વળી સેટલમેંટ મૅન્યુઅલ જે ૪પ વર્ષ થી અમલમાં છે તેમાં આકારણીઅમલદારને સૂચના આપેલી જ છે કે બીજી પણ કેટલીક બાબતો તેણે ધ્યાનમાં રાખવાની છે. આમાંની એક ગણોતપટા, વેચાણ તથા ગીરોના આંકડા વિષેની પણ છે. તમે કહો છો કે આકારણીઅમલદારે પ્રથમ પોતાનો રિપોર્ટ આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ બાબત ગણવામાં આવી છે તે ઉપર આધાર રાખીને કર્યો. અને તમે ઉમેરો છો કે આકારણી કમિશનરે આકારણીનું નવું ધોરણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામોનું કરેલું વર્ગીકરણ રદ્દ કરી તદ્દન નવું જ ધોરણ ઉપર ફરીથી વર્ગીકરણ કર્યું છે. અને એ આકારણી કમિશનરની ભલામણો મંજૂર રાખીને સરકારે તદ્દન નવું જ ધોરણ દાખલ કર્યું છે. એટલી વાત તદ્દન સાચી છે કે આકારણી કમિશનર, જેમને આ જિલ્લાના પહેલાંના કલેક્ટર તરીકે તાલુકાનો ખૂબ પરિચય છે તેમણે વર્ગીકરણમાં કેટલાક ફેરફારો કર્યા, અને ગણોતપટા તથા સાંથના આંકડાઓ ઉપર આકારણીઅમલદારના કરતાં વિશેષ ભાર મૂક્યો; પરંતુ હું એટલો નિર્દેશ કરવા ઇચ્છું છું કે તેમના આ કાર્યથી લોકોના હિતમાં નુકસાન થવાને બદલે હકીકતમાં લાભ જ થયો છે. આકારણીઅમલદારની ભલામણોને પરિણામે ચાલુ મહેસૂલમાં ૩૦.૫૯ ટકાનો વધારો સૂચવાયો હતો ત્યારે આકારણીકમિશનરની ભલામણોને પરિણામે ર૯.૦૩ ટકાનો વધારો થાય છે. ત્યારબાદ નામદાર રેવન્યુ મેમ્બરે ધારાસભાની ૧૯ર૭ ના માર્ચની બેઠકમાં પોતાના ભાષણમાં, જેનો ઉલ્લેખ તમે કર્યો છે તેમાં, જાહેર કર્યા અનુસાર પોતાને મળેલા આંકડાઓ અને હકીકત ફરી તપાસી, અને છેવટે, લડાઈ દરમ્યાન અતિશય વધી ગયેલા ભાવોનું કારણ સંપૂર્ણ

૩૫૭