હુકમની છ મહિનાની નોટિસ મળ્યા વિના ચાલુ વર્ષમાં વધારેલા દરોનો અમલ કરી શકાય નહિ, આવી છ મહિનાની નોટિસની બાબતમાં કોઈ જાતનો કાયદો કે વહીવટી હુકમ હોવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ જાણતા નથી, અને તમે શેનો ઉલ્લેખ કરો છે તે તેઓ સમજી શકતા નથી.
‘બહારનાઓ’
૭. છેવટમાં હું એટલું જણાવું છું કે પોતાના અમલદારોએ સૂચવેલા દરો કરતાં ઓછા દરો સરકારે ઠરાવ્યા છે, ખેડૂતો ઉપર કોઈ જાતની હાડમારી ન પડે તેની ખાસ કાળજી રાખીને જ તે પ્રમાણે સરકારે કરેલું છે, અને હવે નવી આકારણી પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખવણીને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો લૅંડ રેવન્યુ કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગવર્નર અને તેની કાઉંસિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને ખસૂસ જે નુકસાનમાં ઉતરવું પડશે તેને માટે પોતે જવાબદાર નહિ રહે.
શ્રી. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તરફથી
જે. ડબલ્યુ. સ્મિથ એસ્કવાયર, આઈ. સી. એસ.
મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી જોગ
સાહેબ,
મારા તા. ૬ ઠ્ઠી જાનેવારીના કાગળના જવાબમાં તમારા તા. ૧૬ મીનો લખેલ લંબાણ વીગતભર્યો કાગળ મળ્યો. તે માટે હું તમારો આભારી છું. તમે ઉઠાવેલા જુદાજુદા મુદ્દાઓનો હું ક્રમવાર જવાબ આપીશ.
૨. ગઈ ૧૨ મી તારીખે બારડોલી તાલુકાના લોકોને જમીન મહેસૂલ ભરવા ના પાડવાની સલાહ આપવામાં મેં જે વલણ અખત્યાર કીધું તેનો તમે કાઢેલો અર્થ જોઈ હું વિસ્મય પામ્યો છું. તા ૪ થીએ જ લોકો