પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





બારમી ફેબ્રુઆરી

“સાબરમતીના સંતે મોટી શક્તિ પેદા કરી છે. તેની પાછળ તમે અમને ગાંડા કહો કે દીવાના કહો, પણ જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી આ ગાંડા ખેડૂતો માટે મરવા તૈયાર છે.”

ત્યારે આ સંજોગોમાં લોકોએ શું કરવું ? શ્રી. જયકરના રિપોર્ટ સામે તો તેમણે સને ૧૯ર૬ થી હિલચાલ ઉઠાવી હતી. તેમની તાલુકા સમિતિએ નિમેલી તપાસસમિતિએ એ રિપોર્ટની એકેએક દલીલના રદિયા આપ્યા હતા, અને વધારો વાજબી ઠરે કે ચાલુ દર પણ વાજબી ગણાય એવા નફા ખેડૂતને થતા નથી એમ બતાવ્યું હતું. આ પછી સને ૧૯ર૭ માં તેઓ તેમના ધારાસભાના પ્રતિનિધિઓને આગળ કરીને સરકારના મહેસૂલમંત્રી — રેવન્યુ મેમ્બર — ની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. આ પછી આ સભ્યોએ સરકારને મોટી અરજીઓ કરી, જેમાં રિપોર્ટની દલીલોના જવાબ અને ખેડૂતોની ખરી સ્થિતિ આપવામાં આવી હતી. આ બધું છતાં ૧૯ર૭ ના જુલાઈની ૧૯ મી તારીખે સરકારે ૨૨ ટકા વધારો મંજૂર કર્યો, એટલે સપ્ટેમ્બર ૧૯ર૭ માં તેમણે પરિષદ ભરી, જેમાં હજારો ખેડૂતોએ હાજરી આપી. આના પ્રમુખ રાવ સાહેબ દાદુભાઈ દેસાઈ એમ. એલ. સી. હતા. ખૂબ વિચાર અને ચર્ચા પછી તેમણે વધારાની રકમ ન ભરવાનો ઠરાવ કર્યો. આ ઠરાવની પણ કશી અસર ન થઈ, તલાટીઓને કીસના હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાના હુકમ થયા.

૩૦