પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


બારડોલી પ્રકરણ અને પછી

[ બારડોલી રિપોર્ટમાં બારડોલીનાં અને ચોર્યાસી ગામમાં બ્રૂમફીલ્ડ કમિટીએ ઠરાવેલા દરમાં ઘણાં ગામોને અન્યાય થતો હતો, ઘણાં ગામોમાં કરેલા વધારાને માટે કમિટી પાસે કશો આધાર નહોતો, તે વિષે શ્રી. વલ્લભભાઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા, તે હવે પૂરો થયો છે. એ પત્રવ્યવહારનો સાર લોકોની જાણને માટે અહીં આપવામાં આવે છે.]

રિપોર્ટથી થયેલો અન્યાય

તા. ૨૪ મી જૂને શ્રી. વલ્લભભાઈ એ સર જે. એલ. રૂને પહેલો પત્ર લખ્યો તેનો સાર નીચે આપવામાં આવે છે :

બારડોલી રિપોર્ટમાં અને અમલદારોએ રૈયતની ફરિયાદ વાજબી હતી એમ ઠરાવ્યું એથી ખેડૂતોને આનંદ થયો છે, પણ એ રિપોર્ટ મુજબ જે દરો ઠરાવવામાં આવ્યા છે તેથી તેમને ભારે અન્યાય થયો છે. એ દરો ઠરાવવાને માટે તેમની પાસે કશો જ પુરાવો નહતો. મારે આપને યાદ આપવું જોઈ એ કે ગયા ઑક્ટોબરમાં મેં આપને જણાવ્યું હતું કે પુરાવાથી સિદ્ધ ન થઈ શકે એવી ભલામણ થશે તો રૈયત પાસે ફરી સત્યાગ્રહ કરાવવાનો મને અધિકાર રહેશે. સંજોગો તો એવા જ છે, પણ અમલદારોએ જાણીબૂજીને અન્યાય કર્યો નથી એટલે સત્યાગ્રહ જેવું આકરું પગલું હું નથી લેવા ધારતો. માત્ર સરકારને અરજ કરી સદરહુ અન્યાય સરકારી હુકમ કરીને રદ કરશો એવી આશા રાખું છું,

ગણોતને આધારે સરકારધારો ઠરાવવાના સિદ્ધાન્તની સામેના મારા વાંધા દૂર રાખીને મારે જણાવવું જોઈએ કે ગણોતનો આધાર એકવાર કબૂલ રાખીએ તોપણ ઠરાવવામાં આવેલા દર વાજબી નથી, જેનાં અનેક કારણો છે:

૧. તાલુકામાં ગણોતે આપેલી જમીન સેંકડે ૮ થી ૧૧ ટકા જેટલી હશે એમ અમલદારોએ કબૂલ કર્યું છે છતાં કેવળ ગણોત ઉપર જ દરો ઠરાવવામાં આવ્યા છે. સેટલમેંટ મૅન્યુઅલ સાફ કહે છે કે ગણોતનું પ્રમાણ ઘણું મોટું હોય તો જ ગણોતનો આધાર લેવો.

૨. જે દર ઠરાવ્યા છે તે પણ એ જૂજજાજ ગણોતના આંકડાને આઘારે નથી, પણુ માત્ર ૪૦ ગામમાં જે આંકડા મળ્યા તેને આધારે છે. એમાંના ૧૭ ગામમાં તો અમલદારો પોતે જ કબૂલ કરે છે કે કશા જ આધારપાત્ર આંકડા નહોતા.

૩૭૧