પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રાસ્તાવિક

બારડોલી સત્યાગ્રહે સત્યાગ્રહ દરમ્યાન તો બારડેલીની સૂરત બદલી નાંખી હતી. એ સૂરત કેવી બદલાઈ હતી, આખા તાલુકાની પ્રજાએ એકત્ર થઈ આખા તાલુકાને કેવો અજેય ગઢ બનાવી દીધો હતો, અને થોડા સમયને માટે તો સરકારનું તંત્ર ચાલતું બંધ કર્યું હતું. એ વાત સૌ કોઈ જાણે છે. બારડોલીની ૧૯૨૮ માં જે સૂરત હતી તે આજે નથી, બારડોલીના લોકો પોતાનું તે વેળાનું તેજ ભૂલીને બેઠા હોય તો નવાઈ નથી, શ્રી. મુનશી જેવા તટસ્થ પ્રેક્ષકને બારડોલીમાં જે ‘મુલ્ય પરિવર્તન’ થયેલું જણાયેલું તે આજે કદાચ ન જણાય. ૧૯૨૮ માં સરકારી અમલદારથી ન અંજાતા, અને તેમાંના ઘણાને કોડીના ગણતા લોકો આજે તેમની ખુશામદ કરતા માલૂમ પડે છે, જે પટેલાઈને તુચ્છ ગણીને સત્યાગ્રહ દરમ્યાન લોકોએ ઠેલી દીધી હતી, તે પટેલાઈને માટે આજે પડાપડી થાય છે, અને જે સંગઠન તે વેળા હતું તે આજે નથી દેખાતું. શાંતિના સમયમાં યુદ્ધનું તેજ જાળવવું અને વિજયનું ફળ જીરવવું એ મહા કઠણ કામ છે. છતાં બારડોલી તાલુકો સત્યાગ્રહને ભૂલ્યો છે એમ તો કોઈ ન કહે, અને એ સત્યાગ્રહનો ઇતિહાસ બીજા તાલુકાઓને તો પ્રાણપ્રદ રહેશે, અને ભાવી પ્રજાને માટે એક સુસ્મરણ રહેશે. સાર્વજનિક વ્યવહારમાં અહિંસાને શસ્ત્ર તરીકે ઉપગમાં લાવવાનો પ્રયોગ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈપણ ‘સત્યાગ્રહ’ના ઇતિહાસનું મૂલ્ય રહેશે. બીજા કારણ માટે નહિ તો એટલા કારણે પણ એ સત્યાગ્રહનો ઇતિહાસ સંઘરવા જેવો છે.