પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુનશી સુમિતિના નિર્ણયોનો સારાંશ
 


૫. જુદાંજુદાં ગામોએ રહેવાનાં ઘરનાં બારણાં ઉઘાડી નાંખ્યાના અનેક દાખલાઓ બન્યા છે, એ બતાવી આપે છે કે આમ બારણાં ઉઘાડી નાંખવાનું કાંઈ કોઈ એકાદ જપ્તીઅમલદારે જ કર્યું નહોતું, પરંતુ એ તો એક વ્યવસ્થિત નીતિના અંગરૂપ જ હતું. બારણાં ઉઘાડી નંખાયાં તેમાં ખોલવા ધારેલું અથવા ખોલેલું ઘર ખાતેદારનું છે કે નહિ તેની કશી પણ તપાસ કરવામાં નહોતી આવી.

૬. ઘણા દાખલાઓમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જપ્તી કરવામાં આવી હતી. આને પરિણામે લોકોને ખૂબ વેઠવું પડ્યું હતું.

૭. રાંધવાનાં વાસણો, ખાટલાપથારી, બિયાં, ગાડાં, બળદ, વગેરે જેવી ચીજો જપ્તીમાં ન જ લઈ શકાય.આમ આ ચીજો ન જ લઈ શકાય છતાં તે જપ્તીમાં ઝડપવામાં આવી હતી.

૮. અસંખ્ય દાખલાઓમાં જપ્તીઅમલદારોએ જપ્તી કરતી વખતે તપાસ પણ કરી નહોતી કે તેઓ જપ્તીમાં લે છે તે મિલકત મહેસૂલ બાકી રાખનાર ખાતેદારની છે કે કોઈ બીજાની. ઘણા કિસ્સાઓમાં તેમણે એવા માણસોની મિલકત જપ્ત કરી હતી જેમને કશું જમીનમહેસૂલ ભરવાનું જ નહોતું; અને જપ્તીમાં લીધેલી મિલકત ખાતેદારની નહોતી એ સાબિત કરવાનો બોજો, અવશ્ય કરીને, જેમની મિલકત ખોટી રીતે જપ્ત કરવામાં આવી હતી એવા બિનખાતેદારો ઉપર જ નાંખવામાં આવતો. કેટલાક દાખલામાં તો આવી રીતે જપ્તીમાં લીધેલી મિલકત વેચી નાંખતી વખતે એ મિલકત કોની હતી એની તપાસ કરવા જેટલી પણ તસ્દી લેવાઈ નહોતી.

૯. અનેક દાખલાઓમાં જપ્ત કરેલો માલ તે તે ચીજની કિંમત કરતાં પણ ઓછા ભાવે વેચી નાંખવામાં આવ્યો હતો, અને પોલીસો તથા રેવન્યુ પટાવાળાઓને આ લિલામ વખતે માલ માટે બીડ મુકવા દેવામાં તથા તે ખરીદવા દેવામાં આવ્યા હતા.

૧૦. જપ્તીમાં લીધેલાં ઢોરોને ઘણા દાખલાઓમાં સખત મારવામાં આવ્યાં હતાં. થાણાંમાં તેમની જોઈતી કાળજી રાખવામાં આવી નહોતી, એટલે કે તેમને પૂરતું ખાવાનું કે પીવાનું આપવામાં આવ્યું નહોતું.

૧૧. શાંત લોકોમાં જપ્તીના કામ માટે પઠાણોને રોકવામાં આવ્યા એ બિનજરૂરી અને ગેરવાજબી હતું. પુરાવો મળી આવે છે કે આ રોકવામાં આવેલા પઠાણોની વર્તણૂક અસભ્ય અને અયોગ્ય હતી, અને એક દાખલામાં તો સ્ત્રીની છેડ કરવા સુધી તેઓ ગયા હતા. કેટલાક દાખલામાં પઠાણોએ નાની નાની ચોરીઓ કરી હતી. ઢોરો પ્રત્યે તેઓ નઠોર રીતે વર્ત્યા હતા.

૩૮૭