પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


૧૨. સત્યાગ્રહી કાર્યકર્તાઓને સજા કરવા તથા લોકોની ચળવળ તોડી પાડવા સરકારે ફોજદારી કાયદાનો આશરો લીધો હતો. ઘણા દાખલાઓમાં ફોજદારી કાયદાનો ઉપયોગ ગેરવાજબી અને ઝેરીલો હતો.

૧૩. એક ઊતરતી પાયરીના મહેસૂલી અધિકારીને માંડવામાં આવેલા દાવાઓનો નિકાલ કરવા માટે મૅજિસ્ટ્રેટ તરીકે નીમવામાં અને બારડોલીના ઉત્તેજિત વાતાવરણમાં એક અદાલત ઊભી કરવામાં સરકારે વાજબી નહોતું કર્યું.

૧૪. ફરિયાદ પક્ષ તરીકે સરકારે ઘટતા પુરાવાઓ રજૂ કર્યા નહોતા, અને ઓળખાવવાની રીત બિનભરૂસાદાર હતી. જે પુરાવાઓના આધારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા તે એકપક્ષી હતા અને ભરૂસાપાત્ર નહોતા. ઘણાખરા ગુનાઓ તો, બહુ બહુ તો, નામ માત્રના જ હતા. ઘણા દાખલાઓમાં તે તે જગ્યાએ હાજર હતા એવા માણસોને સાક્ષીમાં બોલાવવામાં આવ્યા નહોતા.

૧૫. મૅજિસ્ટ્રેટે વધારે સારા પુરાવા માટે આગ્રહ ન ધરવામાં ભૂલ કરી હતી, અને કેટલાક દાખલાઓમાં એમણે કાયદાનો ખોટો જ અર્થ કર્યો હતો. નામના ગુનાઓ માટે પણ સરકારે ખો ભુલાવી નાંખે એવી સજાઓની માગણી કરી હતી. અને ઘણા દાખલાઓમાં મૅજિસ્ટ્રેટ આ સાથે સંમત થયા હતા, અને ગુનાના પ્રમાણમાં બેહદ સજાઓ એમણે આપી હતી.

૧૬. જમીનમહેસૂલના કાયદામાં અપાયેલી સત્તાઓને એકસાથે અને કડક રીતે અમલમાં મૂકવી, અને પરિણામે એકસામટી જમીનો ખાલસા કરવી, ઓછી કિંમતે ચીજવસતો વેંચી નાંખવી, ખાલસા, જપ્તી, અને વેચાણમાં કાયદાની રીતોની અવગણના કરવી, પઠાણો રોકવા, ઢોરો ઉપર જુલમ વર્તાવવો અને તેમને ખાટકીને વેચવાં, ખાતેદારોનાં ઘર આગળ કલાકો સુધી પઠાણો અને પોલીસોનો ખડો પહેરો રાખવો, માલ જપ્તીમાં લેવો, ફોજદારી કાયદાનો ઉપયોગ કરવો અને આવું આવું બીજું કરવું, એ બધું પુરવાર કરી આપે છે કે સરકારે આકરાં પગલાં લીધાં હતાં.

૧૭. બારડોલી તાલુકા પાસે ખાસ કરીને સત્યાગ્રહની લડત પડતી મુકાવવા માટે જ લશ્કર સિવાય બીજું બની શકે તેટલું આકારામાં આકરું દબાણ લાવવા સરકારે આવાં કડક પગલાં લીધાં હતાં. શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સત્યાગ્રહીઓ એક સ્થાનિક આર્થિક પ્રશ્ન માટે જ લડતા હતા એ ન માનવામાં સરકારી અધિકારીઓએ ગેરવાજબી કર્યું હતું. આમ મુખ્યત્વે સરકારે લડતના હેત્વાર્થને અવગણી લડતના દેખાતા સ્વરૂપને જ

અનુલક્ષી પોતાનાં પગલાં લીધાં. આ પગલાં મહેસૂલવસૂલાતની સીધી

૩૮૮