પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 

 આ જ કાગળમાં શ્રી. વલ્લભભાઈએ એક કુશળ ધારાશાસ્ત્રીની રીતે સરકારે કેટલીક કાયદાની ભૂલો કરેલી તે તરફ પણ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. સેટલમેંટ કમિશનર મિ. ઍંડર્સને નવા જ ધોરણે અનેક ગામોના ગ્રુપ (વર્ગ) બદલ્યા હતા તેનો ઉલ્લેખ કરીને શ્રી. વલ્લભભાઈએ જણાવ્યું, “નવા વર્ગીકરણમાં કેટલાંક ગામો ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે, એટલે એ ગામોને માથે તો ઉપરના વર્ગના ઊંચા દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાનો વધારો પડ્યો છે. છેવટના હુકમો કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તો સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું, અને ૧૯ર૭ ની ૧૯ મી જુલાઈએ છેવટના હુકમ કાઢ્યા. ચાલુ વર્ષમાં નવી આકારણીનો અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ. આથીયે વિશેષ નિયમ બહાર એ બન્યું છે કે ૩૧ ગામોએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નોટિસો ચોડવામાં આવી કે જેમને વાંધા રજૂ કરવા હોય તો તે બે મહિનાની અંદર પોતાના વાંધા રજૂ કરે. એક રીતે તો ૧૯૨૭ ની ૧૯ મી જુલાઈના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪, જેની રૂએ જમીનમહેસૂલમાં વધારો થયો તે સરકારનો છેલ્લો હુકમ હતો. પરંતુ પેલી નોટિસ ચોડાઈ એટલે એ હુકમ છેવટનો રહી શકતો નથી. અને છેવટનો હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નોટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવો વધારો અમલમાં મૂકી શકાય નહિ.”

કાગળમાંથી આટલો લાંબો ઉતારો હું એટલા ખાતર લઉં છે કે સરકાર પોતાની ભૂલ સમજી પણ તે કબૂલ કરવાને તૈયાર નહોતી. પણ એક મહિના પછી માર્ચમાં ધારાસભા મળી તેની બેઠકમાં જાહેર કર્યું કે ૨૨ ગામોના વર્ગ ઉતારવામાં આવ્યા છે. ઉપરના કાગળનો એક ટૂંકો અને ટચ જવાબ ગવર્નરના પ્રાઈવેટ સેક્રેટરીએ લખ્યો, અને તેમાં જણાવ્યું કે તમારો કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવ્યો છે. પેલી

૩૭