પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારડોલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે ભાગ લેવાનું સદ્ભાગ્ય તો મને નહોતું મળ્યું, પણ અ–સૈનિક તરીકે મારે ઠીક ઠીક સેવા આપવાનો લાભ મળ્યો હતો. એ દરમ્યાન સરદારની સાથેના સહવાસનાં અને સત્યાગ્રહના દર્શનનાં કેટલાંક સ્મરણો મારે માટે પુણ્યસ્મરણો રહેશે. એ અને બીજાં સ્મરણોને ઇતિહાસ રૂપે ગૂંથીને ગુજરાત આગળ રજૂ કરતાં આનંદ થાય છે. આ ઇતિહાસ કોઈ સૈનિક રજૂ કરે તો જુદી જ રીતે કરે અને સરદાર પોતે લખે તો વળી તેથી જુદી રીતે લખે. પણ સરદાર અને તેના સૈનિકોને લડવાનો જેટલો શોખ છે તેટલો લખવાનો નથી, એટલે મારે આ કામ ઉપાડવું પડ્યું છે. પરિણામે ‘ગોળીબહારની લાઈન’માંથી લખાયેલાં વર્ણનોની લહેજત એમાં ન મળે, અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં મળતો સત્યાગ્રહના પ્રણેતાના સ્વાનુભવનો શાંત રસ ન મળે. પણ એ ન મળે તો બીજું કંઈક તો મળી રહેશે, જેથી વાચકને આ ઇતિહાસ ઉપર આપેલો સમય કેવળ કાળક્ષેપ ન લાગે એવી આશા છે.

સરકારી અમલદારોનાં નામ બનતા સુધી છોડી દેવામાં આવ્યાં છે. સત્યાગ્રહીને એનો હેતુ સમજાવવાની જરૂર નથી. પ્રકરણને આરંભે મૂકેલાં આદર્શ વાક્ય સરદારનાં ભાષણોમાંથી લીધેલાં છે.

મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરીને ઇતિહાસના પૂર્વાર્ધને ‘ક્લેશ’ તરીકે વર્ણવ્યો છે અને ઉત્તરાધને ‘ફળ’ તરીકે વર્ણવ્યો છે. કારણ क्लेशः फलेन हि पुनर्नवतां विधते એ વચન સત્યાગ્રહને વિષે તો સવિશેષે સાચું છે.