પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તંત્રરચના
 


બંધારણ જેવી તો વસ્તુ જ ન મળે ! મોટા પ્રતિષ્ઠિત ગણાતા લોકો તો પોતાની પ્રતિષ્ઠાના તોરમાં અને મુત્સદ્દીપણાના મદમાં હજી રાહ જોઈને બેઠા હતા. મુસલમાનોમાંથી આગેવાનો બારમીએ હાજર હતા, પણ સૂરતનું ઝેરી વાતાવરણ અહીં પણ ફેલાય તો ? અને પારસીઓ વિષે તો શું કહેવાય ? તેમને પણ લડતમાં મોટાં જોખમ હતાં. તેમનો દારૂ વેચવાનો ધંધો રહ્યો. અગાઉની દારૂનિષેધપ્રવૃત્તિને લીધે પણ કેટલાકનાં મન મોળાં હતાં.

શ્રી. મોહનલાલ પંડ્યા તાલુકાનાં ગામોમાં રખડવા મંડ્યા હતા. તેમણે એક ગામથી શ્રી. વલ્લભભાઈ ઉપર કાગળ લખ્યો હતો, તેનો ભાવાર્થ આ હતો: ‘અહીંનાં ગામોમાં હું ભટકી રહ્યો છું, અને મારી આસપાસની સ્થિતિ જોઈને સમસમી રહ્યો છું. થોડા જ દિવસમાં સરકારની સાથે શૂરા સંગ્રામ માંડનારા આ લોકો હશે ? આ લોકોને તો લડતની કશી ખબર હોય એમ લાગતું નથી. ગામમાં સભા શી રીતે થાય ? અર્ધું ગામ જાનમાં ગયું હોય, અથવા નાત જમવા બેસવાની હોય ! લગનગાળામાં એમને લડવાની ફુરસદ ક્યાં છે ? અને કેટલાક તો એવા પડ્યા છે છે કે જેમના મનમાં હજી રહ્યું છે કે સત્યાગ્રહ હોય કે ન હોય અમારે ઘેર લગન હોય અને મામલતદાર ન આવે એ બને ? આ લોકોની મારફતે આપણે લડવાનું ! મને નિરાશા નથી થતી, પણ આપણે કેટલાં પાણીમાં છીએ તે જાણી રાખવું ઠીક છે. ભગવાન તમારી લાજ રાખે !’

પણ લાખ વિચાર કરીને લડતનો નિશ્ચય કરનાર નાયક આ પરિસ્થિતિથી ડગે એવા નહોતા. તેમણે તો લોકોને કહ્યું હતું : ‘તમારામાંથી ૧૦૦ મરણિયા મળે તો આપણે જીતશું.’ પણ એ ૧૦૦ મરણિયાને બળે ૧૭,૦૦૦ ખાતેદારો જીતે એમ તે ઇચ્છતા નહોતા. તેમને તો કાયરને શૂરા બનાવવા હતા, મૂડદામાં પ્રાણ પૂરવા હતા. એટલે એમણે તો લડતની તૈયારી કરવા માંડી, આખું તંત્ર તૈયાર કરવા માંડ્યું. તાલુકામાં ચાર છાવણીઓ તો હતી જ — બારડોલીમાં શ્રી. કલ્યાણજી, જુગતરામ, કેશવભાઈ અને ખુશાલભાઈ હતા; સરભોણમાં ડા. ત્રિભુવનદાસ હતા; મઢીમાં

૪૫