પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણના વાજબીપણાનો મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે. સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો બે શરતે બંધાયા છે — એક તો એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે તો જૂનું મહેસૂલ ભરી દેવું, અથવા તો નિષ્પક્ષ પંચ નીમીને લોકોની પાસે જૂનું મહેસૂલ ભરાવી દે તો ભરી દેવું, અને પંચના નિર્ણયની રાહ જોવી. આ બેમાંથી એક રસ્તો કોઈ પણ આબરૂદાર સરકાર માટે કઠણ હોવો ન જોઈએ.” એ વસ્તુ જોવાજેવી છે કે સરકારના રેવન્યુખાતાના મંત્રી મિ. સ્માઇથ જ્યારે શ્રી. વલ્લભભાઈની સાથે પેલો અપમાનભર્યો પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા અને તેમને ‘બહારના’ કહીને પોતાનું પોત પ્રકાશી રહ્યા હતા તે જ વખતે સરકારના અર્થસચિવ (ફાઈનેન્સ મેમ્બર) સર ચુનીલાલ મહેતા એ ‘બહાર’નાની ગુજરાત પ્રલયસંકટનિવારણને અંગે કરેલી સેવાની ભારે તારીફ કરી રહ્યા હતા. આ રહ્યા તેમના શબ્દો :

“ધંધારોજગારમાં રચ્યોપચ્યો રહેલો ગુજરાત પ્રાંત થોડાં વર્ષ ઉપર તો આત્મત્યાગભર્યા લોકકાર્ય કરનારા સેવકો ધરાવવાની મગરૂરી લઈ શકતો નહોતો. પણ આજે મહાત્મા ગાંધીને અતિશય આનંદ થતો હશે કે ગ્રામ્ય પ્રદેશોમાં સમાજસુધારા અને લોકસેવાનાં કામ કરનારા સેવાવ્રતીઓનું મંડળ ઊભું કરવાના તેમના પ્રયાસને સારી સફળતા મળી છે, અને આવી અણધારી આફત વખતે પોતાના વહાલા નેતાની ગેરહાજરીમાં વિદ્યાપીઠના સ્વયંસેવકોએ આટલું સરસ કામ કરી બતાવ્યું. ગાંધીજીની ગાદી શ્રી. વલ્લભભાઈ પટેલે કેવી રીતે સાચવી અને પ્રલયસંકટનિવારણનું કામ એમણે કેટલા ઉત્સાહથી ઉપાડી લીધું અને પાર પાડ્યું એ તો હવે સૌ જાણે છે.”
(ફેબ્રુઆરી ૨૦, ૧૯૨૮ નું ભાષણ.)

પણ સરકારના કારભારી મંડળમાં મુખ્ય સચિવનું પદ ભોગવનારા, સમાજમાં મોટી પ્રતિષ્ઠા ધરાવનારા, અને શ્રી. વલ્લભભાઈ જેવાને માટે આટલું માન ધરાવનારા અને તેમની કાર્યપ્રણાલી સારી રીતે જાણનારા સર ચુનીલાલ મહેતા સરકારની પાસે તેની હઠ ન છોડાવી શક્યા.