પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


આમ માસને અંતે તાલુકો સારી રીતે સંગઠિત થઈ ગયો હતો, તાલુકાના લોકોમાં પોતાના બળનું ભાન આવતું જતું હતું, પોતાના નાયકની સાથે તેમનો નેહ વધતો જતો હતો. બીજા તાલુકાઓ આ તાલુકાની સહાનુભૂતિના ઠરાવો કરવા લાગ્યા હતા, તાલુકાની મદદમાં ફાળા ઉઘરાવવાના વિચાર કરવા લાગ્યા હતા. જલાલપુર તાલુકામાં મળનારી આવી એક પરિષદમાં શ્રી. વલ્લભભાઈએ જવાની ના પાડી, અને સંદેશો મોકલ્યો કે હજી અમે અભિનંદનને લાયક નથી થયાં, અમને કંઈક કામ કરવા દો, તાવણીમાં તવાવા દો, પછી જેટલી મદદ થાય તેટલી કરજો. સુરત જિલ્લાની એક પરિષદ ભરવાનો ઠરાવ થયો હતો તે ઠરાવને પણ શ્રી. વલભભાઈએ રદ્દ કરાવ્યો, અને લોકો ઉપર જપ્તીખાલસાની નવાજેશ થાય નહિ ત્યાં સુધી એ પરિષદ ન ભરવાની સલાહ આપી.