પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 અથવા જૂજ મહેસૂલે મળતા ત્યારે ખેડૂત ઘણાં ઢોર રાખી શકતો, અને ઢોરની સ્થિતિ પણ બહુ સારી હતી. આજે ચરણની સારી પેઠે કિંમત આપવી પડે છે અને પરિણામે ઢોરની સ્થિતિ ખેડૂત જેવી થવા બેઠી છે.

જો મહેસૂલ આકરું હોય તો ખેડૂત જમીન કેમ નથી છોડી દેતો એમ મિ. ઍંડર્સન પૂછે છે, પણ એણે પોતે જ શ્રી. જયકરના રિપોર્ટ ઉપર કરેલી પોતાની ટીકામાં લખ્યું હતું તે આ વેળા એ ભૂલી ગયા હતા : “બધા આંકડા ઉપરથી એ અનુમાન ઉપર આવી શકાય છે કે ૧૮૯૬માં તાલુકામાં વધારે પડતો મહેસૂલનો દર હતો અથવા તો નફાના છેક ૫૦ ટકા જેટલો દર હતો.” આ આકરા દર છતાં ખેડૂત જમીન કેમ નથી છોડી દેતો એનો જવાબ તો એ જ હોઈ શકે કે બ્રિટિશ રાજ ભૂંડું છે એમ જાણતા છતાં, અથવા મિ. ઍંડર્સન અને જયકર જેવા રેઢિયાળ અમલદારો હોવા ન જોઈએ એમ જાણતાં છતાં, ખેડૂત બ્રિટિશ રાજને અને પેલા રેઢિયાળ અમલદારોને નભાવી લે છે. ખેડૂત આકરા દર છતાં જમીનને વળગી રહે છે કારણ તેની પાસે બીજું સાધન નથી, અને જમીનમાંથી પૂરતું પેદા નથી થતું છતાં જમીન છોડતો નથી તેનું કારણ તો સત્યાગ્રહની લડત દરમ્યાન સરકાર તરફથી કાગળો લખનાર મિ. સ્માઈથે પોતે જ આપેલું છે. ૧૯૨૪માં ખેડાના કલેક્ટર તરીકે એણે જમીનમહેસૂલકમિટી આગળ જુબાની આપતાં જણાવ્યું હતું : ‘જો એમ પૂછતા હો કે લોકો ગુજારો કેમ કરતા હશે તો એનો જવાબ એ છે કે મોસમ વિત્યે નવરાશના દિવસોમાં એ લોકો દહાડીદપાટી કરે છે, બળદ અને ગાડાંની મદદથી ભાડાં કરે છે, ઢોર રાખી ઘીદૂધ વેચે છે.’

પણ હવે આ બચાવના પોકળપણામાં બહુ ઊતરવાની જરૂર નથી. દલીલો તો ગમે તે કરવાનો મિ. ઍંડર્સનને હક હતો, પણ એક વસ્તુ એના ભાષણમાં એવી હતી કે જે એના જેવા અમલદારના મોંમાં પણ શોભતી નહોતી. પોતાના એ ઐતિહાસિક થઈ જનારા ભાષણનો ઉપસંહાર કરતાં મિ. ઍંડર્સન બોલેલા : “આપણને કહેવામાં આવે છે કે થોડાં વરસ ઉપર બારડોલી

૭૪