પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧ મું
‘નાદીરશાહી’
 


તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે આપ નિશ્ચિત રહેશો.” સામાન્ય રીતે મહાલકરીની સાથે ઘણી બેઠક અને ઘરોબો રાખનારા શેઠ વીરચંદ ખાલસાની નોટિસથી ગભરાયા વિના કે મહાલકરીની સાથેની મહોબતથી અંજાયા વિના તેને સામી નોટિસ આપે એ વાત જ તાલુકાના લોકોને માટે અસાધારણ હતી. વાણિયાઓ પહેલાં ગગડી જશે એવો ડર સરકારને જ હતો એમ નહિ, પણ લોકોમાંના ઘણા જણને હતો. એ ડર ખોટો પડ્યો એટલું જ નહિ પણ કણબીઓ અને બીજાઓમાં એકબીજા વચ્ચે વાતચીત થવા લાગી કે હવે વાણિયા ખાલસાથી ન ડગ્યા એટલે આપણે ડગશું તો આપણે તો કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું જ થવાનું છે.

તાલુકામાં આ ખાલસા નોટિસોની ચમત્કારિક અસર થઈ. દેશમાં આ વસ્તુ ‘નાદીરશાહી’ તરીકે પ્રગટ થઈ ગાંધીજીએ દેશને આ ‘નાદીરશાહી’ વિષે જાગૃત કરનારા લેખો ‘યંગ ઇડિયા’ અને ‘નવજીવન’ માં લખ્યા, અને પરિણામે બારડોલી સત્યાગ્રહને વિષે હજી કોઈ ઉદાસીન રહ્યા હતા તેમણે તે ઉદાસીનતા છોડી. ગાંધીજીનો નીચેનો લેખ બારડોલીનાં ગામેગામમાં વધાવી લેવામાં આવ્યો. લોકોએ તે વારંવાર વાંચ્યો :

“જનરલ ડાયરને જ્યારે માજી હંટર કમિટિના એક સભ્યે જલિયાંવાલાની કતલ બાબત સૂચક પ્રશ્ન પૃછ્યો, ‘તમારો વિચાર નાદીરશાહી ચલાવી લોકોના મનમાં સરકારનો રુઆબ પેદા કરવાનો હતો ?’ ત્યારે તેણે તે સૂચનાનો ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી, ‘હા’ કહી હતી, પણ નાદીરશાહીનો આરંભ કંઈ જનરલ ડાયરથી નહોતો થયો. એ તો હિંદી નોકરશાહીના પરંપરાનો વારોસો ને ઈજારો છે. પણ આ નાદીરશાહીને જનરલ ડાયરે પ્રખ્યાતિ આપી એમ કહી શકાય. તેથી આપણે તેને ડાયરશાહીને નામે પણ ઓળખીએ છીએ. ડાયરશાહીની નીતિ ઉપર નોકરશાહીની હસ્તી નિર્ભર છે તેથી પ્રસંગ આવ્યે નોકરશાહી તેનો આશ્રય લેતાં ચૂકતી નથી. તેને મન બારડોલીમાં આ પ્રસંગ આવી પહોંચ્યો જણાય છે. તેથી બીકણ ને પોચા ગણાતા વાણિયા સત્યાગ્રહીઓની ઉપર નાદીરશાહીનો આરંભ થયો છે એમ કહેવાય. આઠ

૮૧