પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ત્યારપછી પણ ઘણીવાર તેમને બોલતા સાંભળ્યા હતા, પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીકવાર જે વહ્નિ વરસતો જોયો તેવો કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકે કટકા થતા હોય ને જે તીવ્ર વેદના થાય તેવી વેદનાથી ભરેલા તેમના ઉદ્‌ગારો નીકળતા હતા. એ ભાષણોની તળપદી ભાષા, એમાં ક્ષણેક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું. ભાષાની મકદૂર અને લહેજત જોવી હોય તો દીવાનખાનામાં બેસીને ફરસબંધી કરનારા સાહિત્યના રસિયાઓ જાય બારડોલીમાં, એમ મેં એ દિવસોમાં ‘નવજીવન’ના અંકમાં લખ્યું હતું.

વાલોડના વણિકોને અભિનંદન આપવા માટે મળેલી ભારે સભામાં તેમણે લોકોને વધારે આકરી લડત માટે આ પ્રમાણે તૈયાર કર્યા :

“આ લડતમાં હું ફક્ત તમારા થોડા પૈસા બચાવવા ખાતર નથી ઊતર્યો. બારડોલીના ખેડૂતોની લડત મારફત હું તો ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું. હું એ શીખવવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. નહિ તો જુઓને, એક તરફથી તો વિલાયતથી મોટું કમિશન પ્રજાને શી રીતે જવાબદાર તંત્ર આપવું તેની તપાસ કરવા આવ્યું છે, બે વરસમાં મુલકી ખાતું લોકોને સોંપી દેવાની વાતો ચાલે છે અને બીજી તરફથી અહીં જમીનો ખાલસા કરવાની સરકા૨ બાજી ગોઠવે છે. એ બધા ખાલી તડાકા છે. જેને સરકારી નોકરી કરવી છે એને ભલે એમાં ડર લાગે. ખેડૂતના દીકરાને એમાં ડરવાનું કારણ નથી. તેને તો વિશ્વાસ હોવો જોઈએ કે આ જમીનો અમારા બાપદાદાની હતી અને અમારી જ રહેશે. ખેડૂતની જમીન એ તો કાચો પારો છે, જે તેને આવી સ્થિતિમાં લેશે તેને ફૂટી નીકળશે. દશ વરસ પર દેશમાં સુધારાનું તંત્ર નહોતું ત્યારે પણ ખેડા જિલ્લામાં એક વીઘું જમીન સરકારથી ખાલસા થઈ શકી નહોતી, તો હમણાં થઈ શકશે ? નાહકનાં દફ્તરો બગાડે છે. એમ જમીનો ખાલસા થશે ત્યારે તો આ કચેરીના મકાનમાં મહાલકરી નહિ રહેતો હોય, ને અહીં અંગ્રેજી

૮૮