પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર્ શ્રદ્ધાનંદ

૧૧૦


ગોળો છેક અમેરિકામાંથી આવી પહોંચ્યો. એ મહાન દેશનો એક સુવિખ્યાત શિક્ષણકાર, જેનું નામ મી. માયરન એચ, ફેલ્પ્સ હતું, તે ઈ. સ. ૧૯૧૧ની અંદર, હિન્દી સરકારની તમામ દહેશતો પોતાના મગજમાં ભરીને, પ્રથમથી જ ભરમાયેલું વહેમાયેલું હૃદય લઈને તપોવનને આરે ઉતર્યો. એક દિવસ નહિ, બે ચાર દિવસ નહિ, પણ ત્રણ મહિના સુધી લાગલાગટ એ ચકોર મુસાફરે ગુરૂકુલમાં ઉતારો રાખી એની રજેરજ જીવન-ચર્યા તપાસી લીધી. ત્યાં એણે આર્યત્વને ઘડાતું દીઠું. પોતાના નિરીક્ષણની ઉગ્ર આગમાંથી શુદ્ધ કંચન રૂપે સિદ્ધ થયેલી એ સંસ્થાનું વૃત્તાંત આ અમેરિકાવાસીએ, એક પછી એક નવ લેખો દ્વારા અલ્હાબાદના એંગ્લો-ઈન્ડીઅન વર્તમાનપત્ર 'પાયોનિયર'માં પ્રગટ કર્યું. સરકારના કાળજામાં ઊઠેલા રાજદ્રોહના ફફડાટની એ પરદેશીએ સારી પેઠે હાંસી કરી કાઢી, અને સરકારની કેળવણી ઉપર પ્રહારો વરસાવતી એ નિષ્પક્ષપાતી લેખમાળામાં, ગુરૂકુલના બાલકોનાં અભ્યાસ, રીતભાત, ચારિત્ર વગેરે પર સ્તુતિ ઢળતી એ વિદેશી કલમ લખે છે કે –

“આશ્રમની અંદરના મારા છ અઠવાડીઆના વસવાટ દરમિયાન મેં એક પણ રીસાયેલી મુખમુદ્રા નથી દીઠી, એક પણ ઉતાવળીઓ અથવા ક્રોધાળ ઉચ્ચાર નથી સાંભળ્યો, કે એક પણ બાળકમાં અસંતોષ, અસુખ અથવા અણોસરાપણ (Homesickness) નું ચિહ્ન સરખુંયે નથી