રાષ્ટ્રીય શિક્ષણનો પિતા
અને આ ગુરૂકુળની પ્રેરણાનાં જળ પી પીને તે
આર્યાવર્તની ભૂમિમાં ઠેર ઠેર ગુરૂકુળના અંકુરો ફૂટી
નીકળ્યા છે. આ મહાન વડલાની બાર વડવાઈઓની છાંયડી
નીચે અત્યારે એક હજાર બ્રહ્મચારીઓને તપોવનની કેળવણી
મળી રહી છે. એક કન્યાગુરૂકુળ દિલ્હીમાં જન્મ્યું છે, ને
એક આયુર્વેદિક કોલેજ પણ ચાલે છે. સરકાર તરફથી આ
બધા શિક્ષણ-પ્રચારની તપાસ સમિતિ નીમાઈ હતી, અને
એ સમિતિએ આયુર્વેદિક કોલેજનાં મુક્તકંઠે સ્તુતિગાન
કર્યા હતાં. પરંતુ એને સહાય કરવાની ભલામણ લખવા
જેટલી હિંમત એ સમિતિની છાતીમાં નહોતી. ભલામણ થઈ
હોત તો પણ ગુરૂકુળે તેનો ઇન્કાર જ કર્યો હોત, સ્વાશ્રય
તે એના પ્રાણદાતા શ્રી મુન્શીરામજીનો જીવનમંત્ર હતો.
કમભાગ્યે ગંગામૈયા એક વર્ષ પર કોપાયાં હતાં અને ગુરૂકુળનાં મકાનો એ ગળી ગયાં હતાં. આજે એ ઇમારતોને અભાવે બ્રહ્મચારીઓ પારાવાર સંકટ સહે છે. પરંતુ પ્રભુ પર શ્રદ્ધા પોકારીને તેઓએ આ જ માસમાં ગુરૂકુળની રૌપ્ય–જયન્તી ઉજવવા નિમિત્તે દસ લાખ રૂપિયાની ભિક્ષાનો આહલેક ગજાવ્યો છે.
પંદર વર્ષ સુધી એ પોતે વાવેલા વડલાને આત્મતેજનાં નીર સીંચી સીંચી મોટો કરી લીધા પછી, એ મમતા પણ છેદી નાખવાનો અવાજ મુન્શીરામજીનાં અંતરમાં એક દિવસ ગુંજી ઊઠયો. ગુરૂકુળનાં પ્રેમ-બંધનેમાંથી એ તપસ્વીને