રાજદ્વારે સન્યાસી
પંજાબ અને સંયુક્ત પ્રાંતના પ્રતિનિધિઓ કે જેઓને
તંબૂમાં ઉતાર્યા હતા, તેઓ પોતાના તમામ સામાન સાથે
ઘૂંટણ ઘૂંટણ સુધી પાણીમાં દિગ્મૂઢ બનીને ઊભા છે. અને
કેડ કેડ સમાણાં પાણીમાં રખડતા શ્રધ્ધાનંદજી શમીઆણાને
ઊભો કરવા મથે છે. શહેરમાં ઉતારા શોધવાને માટે એણે
મોટર મગાવી, અને એની તપશ્ચર્યાને પ્રભાવે ત્રણ મોટાં
મકાનો, તંબૂઓમાં પલળતા મહેમાનોને માટે તો પૂરતાં
મળી ગયાં. પરંતુ સ્પેશ્યલો તો આવવા લાગી, ને હાથમાં
હતાં તે તમામ મકાનો ખૂટી ગયાં. બીજી બાજુથી અવાજ
પડયો કે 'હજુ આવે છે!' મહેમાનો હજુ ચાલ્યા જ
આવે છે અને વરસાદ ધોધમાર વરસે છે. સ્ટેશનમાં ભરચક
મેદની ખદબદે છે. પણ સંન્યાસી આકાશે નજર નાંખીને
પ્રભુને પૂછે છે કે 'હવે હું કયાં શમાવું ?'
અને અંતરિક્ષે ઉત્તર દીધો. સંન્યાસી મોટર દોડાવતા મકાનો શોધે છે, તે વખતે પાછળથી શોર સંભળાયો : 'સ્વામીજી ! સ્વાસીજી ! સ્વામીજી!'
સ્વામીજીએ મોટર થંભાવી. જોયું તો વૃષ્ટિમાં ભીંજાતો એક માણસ દોડ્યો આવે છે. આવીને કહે છે કે 'અરે સ્વામીજી! મારી વાત કોઈ સાંભળતું નથી. હવે આપ સાંભળો તો ખરા !'
'શું છે ભાઈ ! બોલ જલદી.'
'હું મારા ઘરમાં પચાસ મહેમાનોને ઉતારવા તૈયાર છું.