પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૨૬


બીજા અનેક મિત્રો એ જ રીતે પોતાના ઘર દીઠ પચીસ પચીસ પરોણાઓને વહેંચી લેવા તૈયાર છે, ને છતાં તમે શા માટે મુંઝાઓ છો ? અમારે ઘેર મોકલાવો ! અમારું બોલ્યું કોઈ સાંભળતું કેમ નથી !”

પ્રેમ અને કરૂણાના એ દેવદૂતને દેખી સ્વામીજીનું હૃદય ગદ્ગદિત બની ગયું. એણે કહ્યું કે “રંગ રાખ્યો ભાઈ ! તમે બધા 'હૉલ ગેટ' પાસે જઈને ખડા થાઓ, અને તમારે પ્રત્યેકને આંગણે પરોણાઓને લઈ જાઓ.'

પરિણામે રાતના બે વાગતામાં તે એક પણ અતિથિ રઝળતો ન રહ્યો. નગરજનોએ તમામને પોતાના ઘરેઘરમાં શમાવી લીધા. સંન્યાસીનો જયજયકાર બોલ્યો. અને એ અધિવેશનની વેદી પરથી સ્વામીજીએ ઉચ્ચારેલી સ્વાગતવાણીમાં માનવ-સેવાનું સંગીત ગાજી ઊઠ્યું. એ રીતે રાજપ્રકરણ અને સંન્યાસ વચ્ચે દોરાયેલી રેખાને ભૂંસી નાખી, એક સંન્યાસી તરીકે રાજકારણમાં ઝંપલાવવાની પહેલ કરનાર પણ સ્વામીજી જ હતા.

હિમાચળના એકાદ કોઈ છૂટા પડી ગયેલા શિખર સરખા એ સ્વામીજીને ત્યાર પછી આપણે આખા હિન્દમાં ઘૂમી જલીઆંવાલા બાગને માટે તેમ જ દિલ્હીના શહીદોના સ્મારક માટે દ્રવ્ય ઊઘરાવતા દેખ્યા. રાજદ્વારી લડાઈની વારેવારે ફરતી જતી વ્યૂહરચનામાં હાજર ને હાજર ઊભા રહી, સંન્યાસીને શોભે તેવી રીતે સ્પષ્ટવક્તૃતા વાપરતા અને મહાત્માજીને