પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧

જેલ-જાત્રા



દીધું, પણ મને તો કોઈએ પૂછયું યે નહિ કે તું ક્યાં રહે છે. વારંવાર પ્રગટ થયું કે મારા નામનું વારંટ નીકળ્યું છે. અને ૧૦ મી એપ્રીલે જ્યારે મને કહેવામાં આવ્યું કે રાત્રિયે જ મને ગિરફતાર કરવાના છે, ત્યારથી હું મારા ઘરનાં, ઉપરનું તેમજ નીચેનું સીડીનું, બન્ને કમાડ રાત્રિભર ઉઘાડાં જ રાખવા લાગ્યો, કે જેથી પોલીસને મારા ઘરમાં પ્રવેશ કરતાં મુશ્કેલી ન પડે. એ દિવસેામાં હું એટલો થાકેલો હતો કે જેલમાં મને આરામ મળત. દોઢ-બે લાખ પ્રજાજનોને એ ઉશ્કેરાટની અંદર અહિંસાધર્મનું પાલન કરાવવું એ નાની સૂની વાત નહોતી. પરંતુ કોઈ યમદૂત મને એ વિશ્રામસ્થાને તેડી જવા ન આવ્યો– ન જ આવ્યો.

'બીજી વાર મારી ગિરફતારીનો ગણગણાટ ઊઠ્યો. પંજાબના ગવર્નર એડવાયરને ખાત્રી થઈ ચુકી હતી કે પંજાબમાં બધી મદદ દિલ્હીથી જ જાય છે અને એ મોકલનાર હું જ છું. હું 'માર્શલ લૉ 'ના ભોગ થઈ પડેલાં કુટુંબોને લાહોર મદદ આપવા ગયેલો ત્યારે મને એક જૂના વખતનો ખાનગી હુકમ બતાવવામાં આવ્યો. એ લખનાર માઇકલ એડવાયર જ હતા. એણે લખ્યું હતું કે 'શ્રદ્ધાનંદને અમૃતસર ન રોકતાં લાહોરમાં આવવા દેવો. ત્યાં એના હાથપગમાં બેડી પહેરાવી, બજારોમાં ફેરવીને બંદીખાને લઈ જવો, શહેરમાં મશીનગનો પણ ગોઠવી દેવી, બે હજાર હથિયારબંધ સૈનિકોને બજારમાં ખડા કરવા અને શ્રદ્ધાનંદને એવી રીતે અપમાનિત કરીને ફેરવવા કે લોકો કમ્પી ઊઠે.'