પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩

દીકરો


અપમાન થતું તે એ સાંખી શકતી જ નહોતી. કોઈની મહેરબાનીની ભીખ એ માગતી નહોતી. જલદ પ્રકૃતિની હતી. ઉતાવળીઆ સ્વભાવની હોવાથી ગુસ્સાને વખતે ઉગ્ર વાણી કાઢતી અને સામા ટોણા ચોડવા સદા તૈયાર જ રહેતી. મારૂં ઘણું ખરૂ અંગત ચારિત્ર્ય મારામાં એનામાંથી જ ઊતર્યું છે.'

એજ માતાના ગુણ-પાનમાંથી લાજપતને હૃદયે આખી દુનિયાની સ્ત્રીજાતિ પ્રત્યેનું સન્માન સીંચાયું હતું. પ્રેમ અને પરોપકારે છલકતી પોતાની જનેતાનું મધુર વિશુધ્ધ દર્શન એને દુનિયાની તમામ ઊંચીનીચી કે શ્વેતશ્યામ સ્ત્રીમાં થઈ રહ્યું હતું. એટલે જ પેલી અમેરિકાવાસી મીસ મેયોના મલિન પુસ્તક 'મધર ઇંડિયા'ના પ્રત્યુત્તરમાં પોતે રચેલા 'અનહૅપી ઈન્ડિયા : દુઃખી હિન્દ' પુસ્તકમાં એમણે લખ્યું છે કે-

'આ મારા પુસ્તકમાં યુરોપી સ્ત્રીઓની નીતિભ્રષ્ટતાનું ચર્ચાપ્રકરણ ઉપાડવાનો નિણર્ય કરવામાં મારી કેટલીયે રાત્રિઓ નિદ્રા વગરની ગઈ છે. કેમકે મીસ મેયોને પોતાની જાતિ પ્રતિ જેટલું માન દેખાય છે તે કરતાં મને - હું પુરુષ છતાં વધુ માન છે. મારી એ સન્માનદૃષ્ટિને જાતિ, વર્ણ કે કોમના ભેદો નથી. હું માનું છું કે વિશ્વમાં 'સ્ત્રી' જેટલું સુંદર અને પવિત્ર સર્જન બીજું એક પણ નથી. એનું માતૃત્વ-એની ગર્ભધારણ શક્તિ એને જગતની બીજી