પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીનબંધુ


દેશમાં દુષ્કાળ પડે, રોગચાળો ફાટી નીકળે, જળપ્રલય કે કે ધરતીકમ્પ થાય, ત્યારે તો ખ્રીસ્તી મીશનરીઓની મોસમો ખુલતી, ડુંડાં લણવાની જાણે કે લાણી પડતી. હજારો અનાથ હિન્દી બચ્ચાં પાદરીઓના હાથમાં પડીને ધર્મ અને જાતિનાં અભિમાન ગુમાવતાં, મોટપણે માતૃભૂમિનાં શત્રુ બનતાં, કારણ એ હતું કે ભૂખમરાનાં માર્યા હજારો માબાપો પેટનાં સંતાનોને પણ પાદરીઓના હાથમાં જવા દેતાં અને તે પછી દુષ્કાળ વીત્યે પાદરીઓ એ બચ્ચાંને પાછાં માબાપના કબજામાં સોંપતાં નહિ. એ રીતે રાજપૂતાનાના ફક્ત એક દુષ્કાળમાંથી જ કુલ ૭૦ હજાર હિન્દુ બાળકો ખ્રીસ્તીઓને હાથ પડી ગયાં હતાં. એવે સમયે પંજાબમાં પહેલવહેલી બિનખ્રિસ્તી અનાથસહાયક ઝુંબેશ ઉપાડનાર એક લાજપતરાય જ હતા. ત્રીસ બત્રીસ વર્ષની વય એટલે તો જીંદગીનો ઉંબર લેખાય. દરમ્યાન તો પોતે ફિરોઝપૂર, મીરટ વગેરે સ્થળે અનાથ-આશ્રમો ઉઘાડી નાખ્યાં હતાં. એવે ૧૮૯૯-૧૯૦૦ના અરસામાં મધ્યપ્રાંત, રાજપૂતાના, બંગાળ વગેરે સ્થળોમાં દુષ્કાળ ફાટી નીકળ્યો. એ ચીસ લાહોરમાં લાજપતરાયને કાને પડી. એનું અંતઃકરણ પીગળી ગયું. સહાયસમિતિઓ ગોઠવી, દ્રવ્ય મેળવી, ઠેરઠેર પોતાના ધર્મ દૂતોને એણે