પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૭૨


જેવી તમારી પણ વલે કરવાની ગોઠવણ ચાલી રહી છે.' [ભાઇ રામસીંગ શીખોના એક ધાર્મિક સંપ્રદાયનો નેતા હતો. ૧૮૭૨ માં એને ૧૮૧૮ ના કાયદા નં. ૩ ની રૂઈએ, મુકર્દમો ચલાવ્યા વગર બ્રહ્મદેશ કાળા પાણીએ ઉપાડી જવામાં આવ્યો હતો ત્યાં એ તુરત જ મરણ પામ્યો હતો.]

ત્રીજા મિત્રે સલાહ આપી કે 'ચાલો લાહોરમાંથી નીકળી જઈએ. વાદળું પસાર થઈ જવા દઈએ.'

લાલાજીએ જવાબ આપ્યોઃ 'નહિ, નહિં; એ કાયદાની ચુંગાલમાં આવવા જેવું એક પણ કામ મેં કર્યું નથી. કાયદેસર મને સરકારની આંગળી અડકી શકે જ નહિ. મને કશો ભય નથી. મારા મગજમાં તો એક જ વિચાર ઘૂમે છે કે રાવલપીંડીવાળા પાંચ મિત્રોને માટે હું કાંઈક કરી છૂટું. અત્યારે એ પાંચ જણા બંદીખાનામાં છે ને હું ઘરમાં સુખે નિદ્રા કરૂં છું, એ વિચાર મને જંપવા દેતો નથી. હું રાવલપીંડી જઈને જેમ બને તેમ તેઓની નિકટમાં રહું તો ઠીક.'

લાલાજી જ્યાં આ વિચાર કરે છે ત્યાં એમને ખબર મળ્યા કે એ પાંચે જણાના સ્નેહી–સંબંધીઓ ઇચ્છે છે કે લાજપતરાય દૂર જ રહે તો ઠીક. તેઓનું માનવું છે કે પાંચ જણ પર પડેલી આ આફત લાલાજીની જ રાવલપીંડી ખાતેની હાજરીને આભારી છે અને તેઓ લાલાજી સાથેનો સંબંધ તજી દેવા ઇચ્છે છે.