પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭

ધૈર્યનો સાગર


તેઓએ કેદી સામે આ નમસ્કાર કરનારાઓનાં નામ નેાંધપોથીમાં લખી લઈ, ધમકી દઈ અટકાવવા માંડ્યું. છૂપી પોલીસના એ છાયા તેઓની પછવાડે છોડવામાં આવ્યા.' એક દિવસ સાંજે સાચેસાચ બે હિન્દીઓને, કેદીના રસ્તા પર આંટા મારવાના આરોપસર પકડીને ચોકી પર લાવવામાં આવ્યા હતા. એકને તો તાકીદ આપી રજા દીધી, પણ બીજો કે જે શીખ હતો, તેને પોલીસ ઉપરીએ ઊલટતપાસના સપાટામાં લીધો. તું કોણ છે ? ક્યાં રહે છે ? એ બધું પૂછ્યું. એ બિચારો નિવૃત્ત ઓવરસીઅર હતો ને તે વખતે બર્માના બાંધકામ ખાતામાં કંટ્રોકટર હતો, એને પૂછવામાં આવ્યું 'શા માટે તેં આ કેદીને સલામ કરી ?'

પેલાએ કહ્યું 'એ તો સંત છે, મહાપુરુષ છે, એટલે જ્યારે જ્યારે હું એને જોઉં ત્યારે ત્યારે એને નમન કરવાની મારી ફરજ છે.'

'એ નહિ ચાલે. હવે પછી કદી સલામ નહિ કરે તેના હાથમુચરકા આપવા પડશે.'

'એ હું નહિ આપી શકું, સાહેબ !' સ્વમાની શીખે સામે સીનો બતાવ્યો.

'ઠીક જાઓ, ફરીવાર આ બાજુ કદી આવશો નહિ.' એટલું કહીને એને છોડી દીધો. વળતા જ દિવસથી લાલાજીએ ફરવા જવું બંધ કર્યું અને પોતાના મિત્રોને સવિસ્તર પત્ર લખી વિનવણી કરી કે 'કોઈ પણ રીતે