ધૈર્યનો સાગર
'૧૧ મી તારીખની સવારે મારાં બે બચોળિયાં
મિત્રો બહાર ફરવા ગયાં હતાં, તે વખતે ઓચિંતી
મારી કેદની સજા ખતમ થઈ. ત્વરાભેર મને ગાંસડાં પોટલાં
સહિત સ્ટેશન ભેળો કરવામાં આવ્યો. બચોળિયાંની વાટ
જોવા જેટલો પણ વખત મને ન અપાયો, કેમકે મારે માટે
સ્પેશ્યલ ગાડી રાહ જોતી હતી અને પોલીસ અધિકારીઓએ
મને ઉતાવળ કરવાનું કહ્યું, એ બંદીખાનું છોડી
જતાં મને મારાં નાનાં બચોળિયાં દોસ્તોનો વિયોગ ઊંડી
વેદના દેવા લાગ્યો. મારા કારાવાસ દરમિયાન હું કવિ
બાયરનનું 'શીલોનનો કેદી' નામનું કાવ્ય વાંચતો. તેમાંથી
આ વિયોગે મને નીચેની કડીનું દુઃખદ સ્મરણ કરાવ્યું:
શીલોનના કેદીએ છૂટતી વેળા ગાયું હતું કે–
'આખરે જ્યારે તેઓ આવ્યા અને મારી બેડીઓ ખોલી નાખી ત્યારે તો એ પ્રચંડ દિવાલો મને પર્ણકૂટી સમી થઈ પડી હતી–મારું સર્વસ્વ બની ગઈ હતી. મને લગભગ એમ જ લાગ્યું કે તેઓ આજ મને મારૂં બીજું ઘર છોડાવવા આવ્યા છે. કરોળિયા મારા મિત્રો બની ગયેલા, અને એનો ઉદાસ અબોલ જાળ-ગૂંથણીનો ઉદ્યમ મેં નિરખ્યા કર્યો હતો. ઉંદરોને મેં ચંદ્રને અજવાળે ખેલતા જોયા હતા અને આજનો વિયોગ મને એ બધાના કરતાં ઓછો વસમો કેમ લાગે ! અમે બધાં એક જ ઘરનાં નિવાસી સ્વજનો હતાં અને હું એ દરેક જન્તુની જાતને