પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૦૮


પુસ્તક કર્નલ વેજવુડની પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યું, વેજવુડે પોતાને જ ખર્ચે એની અક્કેક પ્રત પાર્લામેન્ટના એકેએક સભાસદના હાથમાં પહોંચાડી અને પરિણામે એની વધેલી ખ્યાતિએ લાલાજીનાં લખાણોની માગ વધારી મૂકી.

કેટલી પ્રચંડ ગતિએ લાલાજી લખતા વાંચતા ! 'યંગ ઇન્ડીઆ' પછી બીજું 'ઈગ્લાંડનું હિન્દ પ્રત્યેનું કરજ' એ નામનું હકિકતોથી ભરપૂર પુસ્તક બહાર પાડ્યું પછી જ્યારે એણે સાંભળ્યું કે હિન્દે બ્રીટનને મહાયુદ્ધમાં ખર્ચવા માટે દોઢ કરોડ રૂપિયાની મફત ભેટ આપી દીધી, ત્યારે તો એનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો. એણે એક જ બેઠકે, ખુરસી પરથી ઊઠ્યા વિના 'મુખ્ય પ્રધાન લોઈડ જ્યેાર્જને ખુલ્લો પત્ર' ઘડી કાઢ્યો; ત્રણ દિવસમાં તો એની નકલો છાપાંમાં પહોંચાડી દીધી, અને તે પછી આવ્યો હિન્દી વજીર મી. મોંટેગૂનો વારો. ડૉ. હાર્ડીકર લખે છે કે અમે સહુ ન્યુયોર્કથી વીસ માઈલ દૂરની સેલગાહે જતા હતા, નાની નૌકાના તૂતક પર અમે બેઠા બેઠા સમુદ્રની રમ્યતા નિહાળતા હતા, પરંતુ લાલાજીને સૃષ્ટિસૌંદર્ય જોવાનું દિલ નહોતું, એણે કહ્યું કે 'હાર્ડીકર ! લખ, હું લખાવું.' મંડ્યા લખાવવા. સાંજે પાછા આવ્યા ત્યારે એ લાંબો કાગળ તૈયાર હતો.

અનેક તો પત્રિકાઓ લખી કાઢતા. એક લખ્યું 'India a Graveyard : હિન્દ,એક કબ્રસ્તાન.' એની એક લાખથી વધુ પ્રતો કઢાવી અમેરિકામાં વિનામૂલ્યે વહેંચી.