પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૧૬


થરથર્યો છે, વિરોધીઓના નિંદાપ્રલાપથી એ નાહિમ્મત બન્યો છે, ભય પામીને એણે પોતાની એબો છુપાવી છે, વિચાર–સ્વાતંત્ર્યને રૂંધ્યું છે, મનની નબળાઈને ભલમનસાઇના રંગે રંગી છે, અને સ્વાર્થસિદ્ધિને વ્યવહારકુશળતાનાં વસ્ત્રો પહેરાવ્યાં છે. સંસાર આવા ક્ષુદ્ર મનુષ્યોથી ખદબદી રહ્યો છે. કોઈ કોઈ પુરુષસિંહ પાક્યો છે, કે જેણે વેદ-ગાયેલા એ 'અભય'ને જીવનમાં ઝીલ્યું હોય. લાલાજીના જીવનની પલેપલ એ અભય-નાદને સાર્થક કરી ગઈ છે. જીવનના એકેએક ક્ષેત્રમાં કોઈની શેહમાં અંજાઈ જઈ પોતાને સૂઝેલું સત્ય ઉચ્ચારી કાઢતાં એ અટક્યા નથી. એની સમાધિ પર બસ એક જ બોલ લખાવો ઘટે છે – અભય !

જીવનમાં પહેલીવાર એ નિર્ભયતાનો નાદ એણે ૧૮૮૮માં ત્રેવીસ જ વર્ષની યુવાન વયમાં ઉચ્ચાર્યો પોતાના રાજકારણી ગુરૂદેવ સર સૈયદ એહમદની સામે એકત્રિત આર્યાવર્તનાં સ્વપ્નાં સેવનાર, હિન્દુ અને મુસલમાન કોમને પોતાની જમણી ને ડાબી આંખો કહેનાર અને દયાનંદે વેદ માટે કર્યું તેવી રીતનું કુરાનનું બુદ્ધિગમ્ય વિશાળ ભાષ્ય તૈયાર કરનાર એ મહાન મુસ્લિમ સૈયદ એહમદ લાલાજીના આરાધ્ય દેવતા હતા. એને ચરણે બેસીને પિતાપુત્રે હિન્દી રાષ્ટ્રવાદની દીક્ષા લીધેલી. પરંતુ ૧૮૮૫માં મહાસભાનો પાયો નખાયા પછી એક દુર્ભાગ્ય-દિનનો સૂરજ ઉગ્યોઃ સૈયદ એહમદને 'સર' ની પદવી મળી. એણે પાસું બદલ્યું.