પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫

વીર-મૃત્યુ



સરકારી ઘોષણાનો ભંગ કરતી લાhoરી જનતા હજારોની સંખ્યામાં હલકી ઊઠી. હાથમાં શોકસૂચક શ્યામ પતાકાઓ ફરકતી હતી' 'સાયમન પાછા સીધાવો'ના ધ્વનિ ગાજતા હતા. મોખરે લાલાજી, રાયજાદા હંસરાજ, ડો. સત્યપાલ, ડો. મહમદ આલમ વગેરે સરદારો શાંતિ તથા અહિંસાના સંરક્ષકો બનીને ચાલતા હતા. પં. માલવિયાજીને લાલાજીએ સરઘસને છેડે રાખેલા હતા : એમ કહીને કે 'આ૫ બિમાર છો.' પોતાના પ્રાણની ખેવના ન કરનાર એ પુરુષને બીજા માટે આટલી ઝીણી કાળજી હતી.

સરઘસ સ્ટેશનની નજીક થંભી ગયું અને સાઈમન કમીશનની સ્પેશ્યલ આગગાડીની વાટ જોતું ઊભું રહ્યું. લોકો માત્ર શાંતિપૂર્વક ઊભા ઊભા 'સાયમન પાછા જાઓ' અને 'વંદેમાતરમ'ના નિર્દોષ ધ્વનિ ગજાવી રહ્યા હતા. સ્ટેશનની ચોગરદમ કાંટાવાળા તાર બાંધીને ચોગાન વાળી લીધુ હતું, અને તેની અંદર પોલીસ ઘેરો ઘાલીને ઊભી હતી. એકાએક કશા પણ ટંટાતોફાન વિના, લોકો તરફથી લગાર પણ કારણ મળ્યા વિના પોલીસે ભાન ભૂલી જઈ એ તારની બહાર જામેલી મેદનીના મોખરા ઉપર લાઠીના પ્રહારો પર પ્રહારો શરૂ કર્યા અને હુમલો કરનાર માંહેલા આગેવાન અંગ્રેજ અમલદારની લાઠીના ઘા લોકવૃંદને અગ્રભાગે ઉભેલા લોક–નેતાઓ ઉપર પડ્યા. ફડ ! ફડ ! ફડ ! લાઠીઓ તૂટી પડી. ડો. આલમને, લાલા હંસરાજને, ઘણાને ચોટ લાગી. અને વધુમાં વધુ માર વાગ્યો વૃધ્ધ,