પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧

ધાર્મિક કસોટી


પુત્રપુત્રીઓને માટે કદી જનેતાની વહાલપ જાગતી હોય, તો તેનું પ્રેરક હૃદય મારા પિતાજીનું જ છે.

ફરીવાર પિતાજીની હાલત ગંભીર હોવાના સમાચાર આવ્યા ને હું તલવન જવા ચાલી નીકળ્યો. મને દેખતાં જ એમનો જર્જરિત હાથ ઊંચો થયો ને મને એમણે આશીર્વાદ દીધા. મેં જોયું કે મોટાભાઈ પ્યાલામાં કાંઈક પીવાનો પદાર્થ લઈને ઊભા છે, તુરત પિતાજીએ કહ્યું :

'જો મુન્શીરામ કહે કે આમાં માંસ નથી, તો હું પી જઇશ. મને જીવાડવા ખાતર પણ એ જૂઠું નહિ બોલે” હું ચક્તિ થયો. ભાઈને અલગ લઈ જઈને મેં ભેદ પૂછ્યો. ખબર પડી કે કોઈ એક હકીમે મુરઘીનાં બચ્ચાંનો શોરબો અનુપાન તરીકે બતાવ્યો, તે પરથી ભાઈએ એ બનાવી, ચણાનો ક્ષાર કહીને પિતાજીને પાયો. પીતાંની વાર જ પિતાજીએ થૂંકી નાખ્યું અને તે પછી અઢાર કલાક થયાં કાંઈ પણ ખાવાપીવાનું લીધું નથી. તેથી જ અત્યારે સાચા ચણાના ક્ષારમાં પણ તેમને માંસનો ભેળ હોવાની શંકા પડી છે !

મેં જઈને પ્યાલો ધર્યો, પિતાજીએ પૂછ્યું કે 'પી લઉં ?' મેં કહ્યું 'હા!' એટલું કહેતાં જ એ ઉતારી ગયા. પણ એમનો અંત નજીક આવી પહોંચ્યો હતો. દવાની કારી ફાવી નહિ, મને પાસે બેસારીને ઉપનિષદનો પાઠ કરવા કહ્યું. હું રટવા લાગ્યો. પણ હેડકી જોરથી ઉપડેલી તેથી સંભળાતું નહોતું. પિતાની