પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાષા ને બોલીનાં વૈચિત્ર્ય દ્વારા રમણભાઇએ હાસ્ય નિષ્પન્ન કર્યું છે તે ઉપરાંત અભિનવ ઉપમા ઉપેક્ષાદિ અલંકારો વડ, ક્વચિત બાણની શૈલીનું સ્મરણ કરાવે એવાં અલંકારપ્રચુર વર્ણનો વડે તેમ જ મતિને મુંઝવી નાખે એવી અવળી દલીલબાજી ભરેલાં ભાષણો વડે એમણે વૈવિધ્ય સાધ્યું છે.

‘શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંબદ્ધ થઈને નીકળ્યા.' 'અપોશન જેમ દેવોની આહારશક્તિના પ્રમાણમાં બહુ થોડું છતાં તેમના, ઉદરનું પૂરણ કરે છે તેમ ડુંડાદિને લીધે બ્રાહ્મણોના શરીરનો વિસ્તાર ઘણો. છતાં, તથા તે પર મેલ એકઠો થવાનાં કારણો છતાં ખોબાપૂર પાણીથી તેમની સ્નાનક્રિયા પૂરી થાય છે.’

‘ગધેડાં સાથે મજૂરીમાં સામિલ થવાથી ઘોડાને પણ જેમ કુંભારે માન આપવું પડે છે, તેમ બીજા પાશ્વચરોની પેઠે ભદ્રંભદ્રને પણ સંયોગીરાજ પ્રતિ પૂજ્યભાવ દશવિવો પડતો હતો.’ ‘ભોજન સમયે આંધળાના હાથને જેમ નયનની સહાયતા વિના મુખ જડી આવે છે તેમ મને ભીંત પર ફંફોસતાં સૂર્યની સહાયતા વિના જોઈતો માર્ગ જડી આવ્યો.’ ‘અંધકારનો સહચારી કહેવાતો ભય અમને તો દીવા સાથે આવતો જણાયો.’ ‘મૃત્યુ પછાડી સંવત્સરી શ્રાદ્ધાદિ ક્રિયાઓ આવે તેમ તેની પછાડી બીજા લોકો ધસી આવ્યા.’ ભૂલથી પારકા ઘરમાં ઘૂસી જતાં ચોર ગણાવાનો સંભવ ઉપસ્થિત થતાં કોઠી પર ચડેલા ભદ્રંભદ્રને વાંકા વળીને બે હાથ વડે ખેંચી લેવા એ પ્રયત્ન કરે છે ત્યારે પોતાના શરીરને ઊંચી ગતિ આપવાને ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો તેથી જાણે હસવું આવ્યું હોય તેમ કોઠી વાંકી વળી, અને ભદ્રંભદ્રના પગ ફરીથી તે પર પડ્યા એટલે જાણે હસવું માતું ન હોય તેમ કોઠી આળોટી પડી, પૂર્વ કર્મ મુનિને સ્વર્ગમાંથી નીચો પાડે છે તેમ ભદ્રંભદ્ર મને કાતરિયામાંથી નીચે ઉતારી કોઠી પર પડ્યા.’ ‘તાળવા પાછળની નાની ચોટલી જાડી ને પહોળી હજામતવાળી ચામડી ઝૂલવાથી બેવડી થયેલી હડપચીને કાળી બિલાડી ધારી સંતાઈ રહેલી ઊંદરડી જેવી દેખાતી હતી.’ ... ‘વયના વધારા સાથે ફેલાવાનું કામ લંબાઈને બદલે પહોળાઈમાં પરિપૂર્ણ કરી રહેલા અને ભારવાટીઆ પરની ઢીંગલીઓ જેવા દીસતા હાથપગ, ડૂંડ આગળ પોતાની સ્થૂલતાનું અભિમાન વ્યર્થ જોઈ ચકિત બની પહોળા થઈને પડ્યા હતા.’ આવી પુસ્તકમાં સ્થળે સ્થળે આવતી અનેક ઉપમા ઉત્પ્રેક્ષાદિ અલંકારોની મૌલિકતા, અપૂર્વતા ને રસૌચિત્ય રમણભાઈના કલ્પનાવૈભવની પ્રતીતિ કરાવે છે.

રમણભાઈએ આ ગ્રંથની રચના કેવળ સાહિત્યસર્જન કરવાની ઇચ્છાથી નથી કરી. એ કાળે એક તરફ સુધારાવાળા ને બીજી બાજુએ પ્રાચીનતાના પક્ષપાતીઓ વચ્ચે ઉગ્ર વાગ્યુદ્ધ ચાલતું હતું. ‘સનાતન ધર્મના સદોદિત યશઃપૂર્ણ વિજય'ની પતાકા ફરકાવવાની ઇચ્છા રાખનારાઓને તર્ક ને દલીલથી જવાબો આપ્યા છતાં એટલેથી સંતોષ ન થતાં એ પ્રતિપક્ષીઓની દલીલમાં રહેલી હાસ્યજનકતા દર્શાવવા સારું એમણે આ પ્રયત્ન કર્યો છે. સમાજ ને જ્ઞાતિના વિચિત્ર તથા અર્થ વગરના