પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીતરિવાજો, અને ગમે તે ભોગે પ્રાચીન ભાવના ને રૂઢિઓનું સંરક્ષણ કરવાની વૃત્તિવાળા કટ્ટર સનાતનીઓને પોતાના કટાક્ષ માટેના લક્ષ્ય બનાવી એમણે આ ગ્રંથની રચના કરી છે.

આને લીધે આ પુસ્તકમાં કેટલાક દોષો આવી ગયા છે. જડબુદ્ધિથી પ્રાચીન મંતવ્યોને વળગી રહેનારાઓની મશ્કરી કરવામાં મજાક-મશ્કરીમાં કેટલીક વાર બને છે તેમ, સૂકા ભેગું લીલું પણ આવી ગયું છે. આપણા પ્રાચીન ધર્મના ઉદાર ને ઉન્નત સિદ્ધાંતો પ્રત્યે રમણભાઈને આદરભાવ હતો, એમ છતાં આ પુસ્તકે કેટલાકના મનમાં એવો આભાસ પણ ઉપજાવ્યો છે કે એમણે હિંદુ ધર્મની નિંદા કરવા ખાતર આ ગ્રંથ લખ્યો છે અને આથી જ આનંદશંકર સમા સમભાવી ને તટસ્થ વિવેચક પણ આની ગુણસમૃદ્ધિ જોઈ શકતા નથી, અને એને છેક ઊતરતી પંક્તિનું એમણે ગણી કાઢ્યું છે.

રમણભાઈ ‘ભદ્રંભદ્ર’ લખી એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. હાસ્યરસનું સર્જન કરવા ઉપરાંત સુધારાની પ્રવૃત્તિને વેગ આપવા પણ ઇચ્છે છે, પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે, અને આમ સાહિત્યકાર રમણભાઈ પર, સુધારક રમણભાઈ વિજય મેળવે છે.

‘ભદ્રંભદ્ર’માં જ્યાં જ્યાં જનસ્વભાવનું ચિત્ર આવે છે – અને એવાં સુરમ્ય ચિત્રો પ્રારંભના ભાગમાં અનેક સ્થળે આવે છે, ત્યાં ત્યાં ઉચ્ચ કોટિનો વિનોદ નિષ્પન્ન થાય છે પરંતુ દુર્ભાગ્યે પુસ્તકના પાછલા ભાગમાં એવાં ચિત્રો વિરલ થઈ જાય છે. જનસ્વભાવને બદલે આપણા સમાજનો અમુક વર્ગ જ ધીરે ધીરે પ્રાધાન્ય મેળવે છે અને પછી તો વ્યક્તિવિશેષો દાખલ થાય છે. આમ ધીરે ધીરે રસનું ક્ષેત્ર સંકોચ પામતું જાય છે. વ્યક્તિઓનાં મન્તવ્યો નહિ પણ ખુદ એ વ્યક્તિવિશેષો જ એમના કટાક્ષનાં લક્ષ્યબિંદુ છે. પ્રસન્નમનશંકર, કુશલવપુશંકર, ઈત્યાદિ નામો પણ એ કયી વ્યક્તિ પર પ્રહાર કરવા માગે છે તેનાં સૂચક છે. ‘ભૂતલીલા’, ‘ભૂતમંડળમાં પ્રવેશ’, ‘સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર’, ‘તંદ્રાચંદ્ર અને જોશીનો મેળાપ’, ‘તંદ્રાચંદ્રનો વરઘોડો’ ‘જેલમાંથી નીકળ્યા ને ખેલમાં ગયા’ ઇત્યાદિ પ્રકરણોમાં આવતી બાળસુલભ ઠઠ્ઠામશ્કરીઓના પ્રસંગ આમાં ન આણ્યા હોત તો ખાસ હાનિ ન થાત એમ લાગે છે.

આ ઉપરાંત ભદ્રંભદ્રની તથા ખાસ કરીને પ્રસન્નમનશંકરની અતીવ સંસ્કૃતમય ભાષા શરૂઆતમાં હાસ્ય પ્રેરવા સમર્થ થાય છે, પરંતુ પાછળથી એ બુદ્ધિને કસરત કરાવી કંટાળો ઉત્પન્ન કરે છે. આ સિવાય તે વિષયના જાણકાર જ સમજી શકે, ને તે પણ ઘણા થોડા, એવી ખંડનમંડનાત્મક ચર્ચાઓ ને ભદ્રંભદ્રનાં લાંબાં ભાષણો પણ કેટલીક વાર રસમાં બાધક નીવડે છે.

આવા દોષો છતાં ‘ભદ્રંભદ્રે’ આપણા હાસ્યસાહિત્યમાં બહુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ હાસ્યરસ નિર્માણ કરવાની ઇચ્છાવાળા અનેક લેખકોનું પ્રેરણાસ્થાન બન્યું