પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે કે તુરંગમાં કેદીઓને ખાટલા કે ગોદડાં કંઈ પણ આપતા નથી. ફક્ત આ કામળા પર સૂઈ રહેવાનું છે.'

'તારી બુદ્ધિ ખરેખર ક્ષીણ થઈ છે. કેદીઓને રહેવા માટે આવડું મોટું મંદિર બંધાવેલું છે તો તેના પ્રમાણમાં સુખસાધન હોય નહિ એમ બને ?'

'બુદ્ધિનો વિકાસ થાય એવું આ સ્થળ જ નથી, પરંતુ મકાન મોટું છતાં અહીંનો ખોરાક અને અહીંની મજૂરી ઊલટા જ પ્રમાણમાં છે, તો શયનની સામગ્રી પણ એવા ઊલટા જ પ્રમાણમાં હોવાનો વધારે સંભવ શું નથી ?'

અમારા સહવાસીઓમાંથી એક જણ બોલી ઊઠ્યો, 'આપ પ્રમાણના નિયમ વધારે સારી રીતે જાણો છો. સમીચીન અને વિપરીત એવાં બે પ્રકારનાં પ્રમાણ છે તેનો ભેદ પારખવો જોઈએ એમ ન્યાયશાસ્ત્રમાં કહેલું છે.'

ભદ્રંભદ્રે આશ્ચર્ય પામી પૂછ્યું, 'આપે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરેલું છે ?'

'સકલશાસ્ત્ર પારંગત છીએ. ન્યાય અને વેદાન્તની પરસ્પર તુલના કરવા સારુ એક દુકાનેથી હું ત્રાજવાં લૈઇ ગયો. દુકાનદાર શાસ્ત્રરહસ્યનો અધિકારી નહિ તેથી તેને ખબર આપેલી નહિ. મારે ઘેરથી ત્રાજવાં શોધી કાઢી પોલીસે મારા પર તે ચોરી ગયાનો આરોપ મૂક્યો. એ મૂર્ખ લોકો શાસ્ત્રીય તુલનાનો હેતુ સમજી શક્યા નહિ અને હેત્વાભાસથી ભ્રમિત થયા. 'જેનો સદ્ભાવ છે તેનું ચૌર્ય થઈ શકે નહિ - ચૌર્ય અભાવરૂપ છે તસ્માત,' એ મારી દલીલ તેઓએ ગ્રહણ કરી નહિ અને મને કેદમાં મોકલ્યો. મૅજિસ્ટ્રેટોને કાયદા શીખવવામાં આવે છે, પણ શાસ્ત્ર શીખવવામાં આવતાં નથી એ શોચનીય છે.'

'આપનું કહેવું અક્ષરશ: સત્ય છે. આપની આર્યવૃત્તિ પૂજનીય છે. અમે પણ એવા સુધારાના પ્રબલને લીધે આ સ્થળમાં આવી પડ્યા છીએ, આપ જેવા શાસ્ત્રજ્ઞ સત્પુરુષના સમાગમથી અહીં કાળ આનંદમાં જશે.'

'આનંદના વિવિધ પ્રકાર છે અને જે પ્રકારનું આનંદનું કારણ તે પ્રકારનો આનંદ હોય એવો નિયમ છે.'

આ માણસ પ્રથમ જોયેલો અને બોલતો સાંભળેલો હોય એમ મને લાગવા માંડ્યું. થોડી વાર તેની સામું જોઈ રહી મેં પૂછ્યું,

'આપનો પ્રથમ સમાગમ થયો હોય એવો આભાસ થાય છે.'

'તેણે પોતાની સાથેના બીજા એક કેદી ભણી નયનનો પલકારો કરી ઉત્તર દીધો, 'જગતમાં બધો આભાસ જ છે. અહીં વાત કરવાની મનાઈ છે તે સંભાળજો.'

ઘાંટો ધીમો પાડી દઈ મેં કહ્યું, 'આપના જેવી જ આકૃતિના અને આપની પેઠે ન્યાયની વાતો કરનાર પ્રથમ કોઈ મળેલા.'

તે બોલ્યા, 'ગજાનન પ્રસન્ન.'

ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'કોણ હરજીવન !'

'આપનો ચરણરજ સેવક આપ કોણ તે બરાબર ઓળખ્યામાં ના આવ્યું, - હા ઓળખ્યા. આપ તો શ્રીમત્ આર્યધર્મધુરંધર પંડિતશિરોમણિ વેદમૂર્તિ ભદ્રંભદ્ર !કેવું અમારું નસીબ ! જેલમાં પણ અમારું કલ્યાણ કરતા આપ આવી મળ્યા. આ