પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું હજી બહાર રોકાયેલો હતો તેથી પૂજાવિધિનો આરંભ થવાનાં ચિહ્‍ન હજી જણાતાં નથી.’

’ચિહ્‍ન માત્ર ચિત્તભ્રમનાં જણાય છે. ચકડોળના ભ્રમણને લીધે સર્વ ભ્રમણ કરતું જણાય છે. પરંતુ કયો મહાવિજય ? વિરોધીઓના પરાજય વિશે આપ બહાર કંઈ કહેતા હતા પણ બરાબર સમજાયું નહિ.’

’એ પરાજય તો માત્ર સમુદ્રગમનના શાસ્ત્રાર્થ સંબંધે હતો. આકાશથી પાતાળ સુધી વિખ્યાત થઈ રહેલા મહાવિજયના ઉત્સવનું એ માત્ર મંગળાચરણ હતું !’

’વ્યાવહારિક વૃત્તાન્તોથી હું અણમાહિતગાર છું. બ્રહ્મચિંતન અને યોગાભ્યાસમાં કાળ જરા હદપાર રોકાઈ જાય છે. તેથી ગફલત કબૂલ કરું છું કે આપના મહાવિજય વિશે હજી સાંભળ્યું નથી.’

’અમે કારાગૃહમાંથી મુક્ત થયા તેનો ડંકો જગતમાં વાગ્યો તેના રણકા આપને કાને નથી આવ્યા ?’

’કાને કંઈ વ્યથા થાય છે ખરી, પણ બરોબર સમજાયેલું નહિ. આપ છૂટ્યા તે જાણું છું, તે વિજય ગણાશે એવી કલ્પના થઈ નહોતી. કોનો વિજય કહેવાય ?’

’સકલ આર્યપક્ષના નાયકનો. વસ્તુ જાણવી સહેલી છે, પણ વસ્તુનું સત્ય જાણવું અઘરું છે.’

’તેથી જ આવું પરિણામ થાય છે. જોજો, મહારાજ ! સંભાળજો. એ ઘોડો તોફાની છે.’

સંભાષણના આવેશમાં ભદ્રંભદ્ર ઘોડા પરથી વાંકા વળી ગયા હતા તેથી વલ્લભરામે આ છેલ્લી સૂચના કરી, ભદ્રંભદ્રને તે કંઈક મશ્કરી જેવી લાગી તેથી વલ્લભરામ સાથે વાત કરવાનું મૂકી દઈ પ્રસન્નમનશંકર તરફ જોઈ તેમણે કહ્યું,

’આપ અહીં પધાર્યા છો એ જાણવામાં નહોતું.’

’તસ્માદેવ દર્શનાર્થે આવ્યા નહિ હો ઇતિ કલ્પના ઉદ્‌ભૂતા હતી.’

’કાંઈ કાર્ય પ્રસંગ હશે.’

'કાર્યો પ્રસંગો કાચિત્‌ ન્યૂનતા છે ? જ્ઞાન અને વ્યવસાય ઉભયની પ્રવૃત્તિ જ્યાં સતત ચાલી રહી છે ત્યાં પ્રયાસ તો નિરંતર છે જ परोपकारार्थमिदं शरीरम्‌ । મારી નિઃસ્પૃહા તો આપ જાણો છો જ. કોઈને મંત્ર, કોઈને ઉપદેશ, કોઈને પદવી, કોઈને પ્રતિષ્ઠા, કોઈને સત્તા, એમ અનેકને અનેક ઇષ્ટ વસ્તુ અપાવવા પ્રયત્ન ચાલ્યા જાય છે, પણ તે સર્વ બીજાને માટે. રાજાઓને રાજ્ય અપાવ્યાં હશે, પણ પંડને કોઈ દિવસ તૃણની પણ પ્રાપ્તિ કરાવવા પ્રયાસ કર્યો નથી. આ મંડપમાં થયેલું આગમન પણ ઈત્થંભૂત છે. આત્મવિનોદાર્થ કદી આ સદશ સ્થાને મારું આવવું થાય નહિ. મિત્રમંડળે પ્રાર્થના કરી કે જગતના અને અમારા ગુરુ છો તો ખેલ સ્થલમાં અમારા નેતા, શાસિતા, ઉપદેષ્ટા થાઓ. યાચના સયુક્તિકા હતી, અને આ ભણી ઘણા કાળ પછી આવવું થયું છે તેથી અનેકને દર્શનનો લાભ આપવાનો પ્રસંગ હતો અતઃ આગમનમ્‌.’

’મહાવિજયપ્રકોશનમાં આપ સહાય થઈ શકશો.’

’મારા મિત્રો આપને સર્વ પ્રકારે સહાયતા કરશે. પંડિત શિરોમણિપદ ધારણ