પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભદ્રંભદ્રની આંખો ઊઘડી ગઈ. તેમને પાઘડી આપી મેં વાત કરાવવા કહ્યું, 'તાપ લાગે છે.'

ભદ્રંભદ્ર કહે કે 'હોય, ઋતુના ધર્મ ઋતુ કરે છે, આપણે આપણા કરીએ છીએ.'

ગાડી ચાલવાની તૈયારી થઈ એટલે પેલો માણસ નીચે ઊતર્યો હતો, તે પાછો આવી બેઠો. બીડી સળગાવી પીવા લાગ્યો. ધુમાડો નાપસંદ કરી મેં મોં પરથી તેને કંટાળો બતાવ્યો. ભદ્રંભદ્રને અને મને તેણે એકેકી બીડી આપવા માંડી. ભદ્રંભદ્રે તેનો સ્પર્શ ન થાય માટે સંકોચાઈ કહ્યું, 'અમે બ્રાહ્મણ છીએ. અમારાથી ન લેવાય.'

તે કહે, 'લેવાય નહિ પણ પીવાય ખરી. ઘણાએ બ્રાહ્મણ બીડી પીએ છે.'

ભદ્રંભદ્ર કહે કે 'તે તો ભ્રષ્ટ, પતિત, પાપી, સુધરેલા.'

'એમ કેમ કહેવાય ? શાસ્ત્રમાં તો બીડી પીવાનું બહુ પુણ્ય લખ્યું છે.'

ભદ્રંભદ્ર કહે, 'હોય નહિ, જૂઠી વાત.'

'નહિ કેમ ? જુઓ,'

धूम्रपानं महादानं गोटे गोटे गौदानम् |
अग्निहोत्री महायागे पुनर्जन्मस्य नाशनम् ||

'એવું ધૂમ્રપુરાણમાં લખ્યું છે. મુખ પર અગ્નિ મૂકવાનું મહાપુણ્ય છે. તેથી મડદાંની અવગતિ થતી નથી.'

ભદ્રંભદ્ર જરા વિચારમાં પડ્યા. શંકાશીલ થઈ પૂછ્યું, 'તમે એ પુરાણ વાંચ્યું છે ?'

'જાતે જ. નહિ તો શ્લોક કહું ક્યાંથી ?'

ભદ્રંભદ્રે નોટબુક કહાડી પુછ્યું, 'મને એ શ્લોક લખાવશો ? હું વિચાર કરી જોઈશ.'

'બહુ ખુશીથી. કહો તો લખી આપું.'

'ના લખાવો.'

તેણે ધીરે ધીરે શ્લોક લખાવ્યો તે ભદ્રંભદ્રે લખી લીધો. લખ્યા પછી ભદ્રંભદ્રે કહ્યું, 'મને આ શ્લોક પાછળથી ઉમેરેલો લાગે છે. શાસ્ત્રમાં આવી આજ્ઞા હોય જ નહિ. પણ શ્લોક છે તેથી વિચાર કરવો પડશે.'

એમના મુખ તરફ જોઈ એક-બે પળ પછી એ માણસ ફરી બોલ્યો,

'મહારાજ ! કંકુ બહુ સોંઘું છે.'

ભદ્રંભદ્ર કહે, 'અત્યંત. દેશમાં પાછો ધર્મ સજીવ થવાનું એ ચિહ્ન છે. તિલક વિના ધર્મ કેમ પળાય ?'

'એમ કહો કે ધર્મ વિના તિલક કેમ કરાય. ટીલું કરવું એ કંઈ સહેલ વાત નથી. હું રોજ બે કલાક મથું છું ત્યારે ટીલું કરવા પામું છું. ઊંધે માથે ઊભો રહી રસોઈ સામે જોઈ રહું છું ત્યારે મન ચોંટે છે અને પછી ટીલું ચોંટે છે. એમ ને એમ કરો તો ઊખડી જાય, તમે તો પૂર્વજન્મમાં બહુ પુણ્ય કર્યાં હશે, તેથી આમ કંકુના લપેડા ચોંટી રહ્યા છે.'