પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૯]


શબ્દનો ઉચ્ચાર કે ઉચ્છવાસ તેમનાથી જન્માનારે પણ થયો નથી, બનેલા વૃત્તાન્ત કેટલાક વખત પછી સ્મરણ કરી તે લખતાં અજાણ્યે એ યવનશબ્દ, શ્રી ભદ્રંભદ્રની ઉક્તિમાં મુકાઈ ગયા છે. અથવા તો તેમણે વાપરેલા સંસ્કૃત શબ્દ, નહિ સાંભર્યાથી એવા શબ્દ મૂકવા પડ્યા છે.

શ્રી ભદ્રંભદ્રની વાણીમાં સમાયેલા શબ્દ અને અર્થના અલંકાર જેમ બને તેમ જાળવી રાખ્યા છે. આ લખનારની પોતાની વાણીમાં વાંચનારને કદી કદી અલંકાર જણાય તો તેમાં આચાર્યશ્રીના ઉદાહરણ તથા અનુસારણ વિના બીજું કંઈ નથી.

આ પ્રપંચમાં બીજા લેખકનું અનુકરણ કે અપહરણ કણમાત્ર નથી. માનસરોવરના તટને મૂકી હંસ વર્ષાકાલે અન્યત્ર જતા નથી. અરે ! શ્રી ભદ્રંભદ્ર દેવની છાયામાં વિચરતા ઉપાસકને અન્યત્ર શક્તિઓનો આશ્રય લેવો પડતો નથી. કવિ નર્મદાશંકરના ‘રાજ્યરંગ’ની પ્રસ્તાવના પ્રમાણે આ પ્રસ્તાવનાનો આરંભ કર્યો છે તેમાં ઉદ્દેશ માત્ર સહજ સંમતિનો છે.

અંતે એટલું કહેવું આવશ્યક છે કે જેને આ પુસ્તક સમજાય નહિ અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી. એ વર્ગને માટે બીજાં પુસ્તકો ઘણાં છે. જય ! જય?? જય ! ?

દિક્કાલને સીમા નથી ત્યાં
સ્થળ કે સમય શો લખવો ?


વિ. અ. વિ. કે. અ. મો.