પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૧૧]

કરવાની અપૂર્વ શક્તિનો ખરો ખ્યાલ આવે છે. 'ડોન ક્વિકઝોટ' કે 'પિક્વિક પેપર્સ' વાંચીને એમને 'ભદ્રંભદ્ર’ની કલ્પના કદાચ આવી હશે, પણ એ એને સ્વતંત્ર રચના. છે. આપણા સાહિત્યમાં એ પહેલી જ સળંગ હાસ્યકથા છે. એ પછી બીજી હાસ્યરસની લાંબી વાતો પ્રસિદ્ધ થઈ છે, પરંતુ ભદ્રંભદ્રને પદભ્રસ્ષ્ટ કરે એવો. મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં હજી જનમવાનો બાકી જ છે. 'ભદ્રંભદ્ર’નો રસ, એને લખાયાને અર્ધી સદી વીતી ગઈ છતાં હજી તાજો જ છે. શ્રી વિજયરાયે લખ્યું છે કે એ (સર્જક) પ્રતિભાનો સૌથી સ્ફુટ અને તેજસ્વી આવિભવ સ્વતંત્રપણે થયો હોય તો એ અવનવી ઉપહાસ કથામાં જ, એમાંના બે-ત્રણ દોષો છતાં પણ, એ એક વાર સ્વીકારીને બાજુએ મૂક્યા એટલે કહેવું જોઈએ કે યુવાન રમણભાઈની એ કૃતિનું યૌવન આ પાંચેક દસકામાં કરમાયું નથી અને સહેજે કરમાશે નહિ.’ આજે પચાસ વર્ષ પછી પણ એની નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો અવસર આવે છે તે એમના ઉપલા કથનનું સમર્થન કરે છે.

હાસ્ય નિર્માણ કરવાની બધી જ યુક્તિઓ આમાં રમણભાઈએ અજમાવી છે. કથાના નાયક જેવો આ કૃતિનો હાસ્યરસ ચૂળ છે, છતાં એમના તીવ્ર ને સચોટ કટાક્ષોમાં સૂક્ષ્મતા પણ જણાઈ આવે છે. ‘ભદ્રંભદ્ર'નો હાસ્યરસ જેટલો પ્રસંગનિષ્ઠ છે ને જેટલો વ્યક્તિનિષ્ઠ છે તેટલો જ શબ્દનિષ્ઠ પણ છે.

જુદી જુદી બોલીઓનાં અનુકરણ કરી ભુપહાસકો જેમ હાસ્યના પ્રયોગો કરે છે, તેમ રમણભાઈએ આમાં જાતજાતની બોલીઓના પ્રયોગો કરી હાસ્યનું નિર્માણ કર્યું છે. ભદ્રંભદ્ર 'શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા' માગે છે. ત્યારે પારસી ટિકિટ માસ્તર એ શું કહે છે તે ન સમજાયાથી જવાબ દે છે : ‘સુ બકેચ ? આય તો તિકિત ઑફિસ છે.’ ભદ્રંભદ્ર જણાવે છે, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું : ‘સોરાબજી, એને ગ્રાંટ રોડની બે ટિકિટ આપો.’ ત્યારે સોરાબજી ટિકિટ આપતાં કહે છે, ‘સાલો કંઈ મેદ થયલોચ. હું તો સમજતો જ નથી કે એ શું બકેચ.’ આમ એક તરફથી સંસ્કૃતમય ગુજરાતી તો બીજી તરફ પારસી ગુજરાતી એમ બંનેને સામસામે મૂકીને ભાષાની વિસંગતિ દ્વારા રમણભાઈએ હાસ્ય ઉત્પન્ન કર્યું છે એટલું જ નહિ, પણ રૂઢ થઈ ગયેલા ફારસી, અંગ્રેજી તેમ જ તદ્ભાવ શબ્દોનો ત્યાગ કરી તત્સમ સંસ્કૃત શબ્દો જ વાપરવાનો આગ્રહ કરી ભાષાને ‘સુધારવા’ મથનારાઓને તેમ જ શુદ્ધ ગુજરાતીને સ્થાને બોલીનો આશ્રય લઈ ભાષાને બગાડનારાઓ એ બંને ઉપર કટાક્ષ પણ કર્યો છે. માત્ર સંસ્કૃત શબ્દનો જ નહિ પણ સંસ્કૃત વ્યાકરણરચનાનો પણ સ્વીકાર આપણી ભાષામાં થવો જોઈએ. તળપદા બની ગયેલા પરભાષાના શબ્દોને સ્થાને સંસ્કૃત પરથી નવા શબ્દો બનાવીને વાપરવા જોઈએ એવો આગ્રહ રાખનાર પણ એ કાળે કેટલાક હતા. એમના પ્રતિનિધિ તરીકે રમણભાઈએ પ્રસન્નમનશંકરને આમાં રજૂ કર્યા છે. ભદ્રંભદ્રનો પોતાને ત્યાં સત્કાર કરતાં એ કહે છે, ‘મેં આપના