પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે; તે શબ્દ જાતે બ્રહ્મ હોવાથી તેને ઉત્પન્ન કરનાર કોઇ હતું નહિ. પાશ્ચાત્ય હસ્તધૂનનરીતિમાં આ રહસ્ય સમાયેલું નથી. માટે આર્યોએ કદી તે અનુસરવી ન જોઇએ.'

એક શ્રોતાએ પૂછ્યું, 'મહારાજ, આપણા બાપદાદાઓએ 'નમસ્કાર' શબ્દ ઉત્પન્ન કર્યો હોત તો તેમને પૂછત કે એ શબ્દ ઉત્પન્ન કરવામાં તમારો આશય શો હતો; પણ તે શબ્દ જો જાતે ઉત્પન્ન થયો છે તો તેને પૂછવું જોઇએ કે તું શા માટે ઉત્પન્ન થયો છે, કે સંશય ન રહે.'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો કે,'આર્યોએ સંશય કરવો ઉચિત નથી. સંશય તો માત્ર તર્કશાસ્ત્રનો વિષય છે અને ધર્મશાસ્ત્રમાં તેને અવકાશ નથી. વિરુદ્ધ પક્ષ પર તર્કવિરુધ્ધતાનો આક્ષેપ કરવો ત્યારે જ વાપરવા સારુ 'તર્ક' શબ્દ આપણે કામનો છે. આપણા મતની સિદ્ધિ કરતાં તો શાસ્ત્રાઘાર જ લેવો; અને શબ્દપ્રમાણમાં તર્કને પ્રવેશ કરવાનો અધિકાર નથી એમ કહેવું. "નમસ્કાર" શબ્દ પણ બ્રહ્મ છે અને આપણે પણ બ્રહ્મ છીએ, તેથી આપણો પોતાનો આશય તે જ તેનો આશય છે. ગમે તે આર્યસિધ્ધાંત પર સુધારાવાળા તર્કબલથી આક્ષેપ કરે તો એટલો જ ઉત્તર આપવો કે અમારો સિદ્ધાંત અને અમે પોતે બંને બ્રહ્મ છીએ તેથી સ્વાનુભૂતિથી અમને તેની પ્રતીતિ થઇ છે. જ્ઞાન અને જ્ઞાતા બંને એક છે અને ત્રીજું જ્ઞેય પણ બ્રહ્મ છે. અપવાદ માત્ર એટલો જ કે જ્યારે માયા વિષે વિચાર કરતા હોઇએ, જ્યારે માયા જ્ઞાનનો વિષય હોય ત્યારે જ્ઞાતા અને જ્ઞેયનું કે જ્ઞાનનું ઐક્ય નહિ, કેમકે માયા બ્રહ્મ નથી અને તેનું જ્ઞાન પણ બ્રહ્મ નથી. અંતે સાર એ જ છે કે એ વકીલ અજ્ઞાન છે, મારા પર પ્રહાર કરતાં બ્રહ્મ પર પ્રહાર થાય છે એટલું જ્ઞાન પણ તેને થયું નહિ.'

એ વકીલ અને એનો ગુમાસ્તો બ્રહ્મ ખરા કે નહિ એ પ્રશ્ન પૂછવાની મને ઇચ્છા થઇ પણ પ્રહારનું નામ દેતાં ભદ્રંભદ્રના મુખ પર કોણ જાણે શાથી પ્રસન્નતા જણાઇ તેથી એ વકીલની વાત પડતી મૂકી.


૧૮ : શોધ કરવામાં બનેલું સાહસ

મુખ પછાડી રાખી કોશ સાથે બળદ કૂવા ભણી જાય તેમ ઘેર જવા તરફ ચિત્ત છતાં હું ભદ્રંભદ્ર સાથે સંયોગીરાજના ઘર ભણી ચાલ્યો. ભદ્રંભદ્ર કહે, 'મોડું થઈ ગયું છે તે માટે દોડતા જઈએ તો વહેલા જવાય; પણ અમથા દોડીઓ તો મૂર્ખ લોકો હસે માટે તું અગાડી દોડ અને હું "ચોર" "ચોર" કરતો પછાડી દોડું."

મેં કહ્યું, 'બીજી હરકત તો કંઈ નથી પણ ચોર જાણી મને કોઈ પકડે અને ચોરને મારવાના ચાલતા સંપ્રદાય પ્રમાણે મને પણ મારે તો તો આપને કંઈ વાંધા જેવું નથી લાગતું? પછી હું આપની આજ્ઞાને અનુસરવા તો તત્પર જ છું.'

ભદ્રંભદ્ર કહે, ' બીજો તો કોઈ વાંધો જણાતો નથી પણ તને પકડે તો ઊલટો