મારા બાપને ઘેર જઈ રહેવાની આજ્ઞા આપી હોવાથી હું અત્રે આવી છું.”
બાદશાહ વધુ આશ્ચર્યમાં ગરકાવ થતો કહેવા લાગ્યો “પણ હું અહીં કેવી રીતે આવ્યો?”
રાણી બેલી “ખુદાવિંદ ! આપે મને 'તને જે વ્હાલામાં વ્હાલી વસ્તુ જણાય તે લઈ જવાનો તને ઈખતિયાર છે' એવી આજ્ઞા આપેલી હોવાથી હું આપને અત્રે લઈ આવી છું, કેમકે મારે મન આપ શિવાય અન્ય કઈ વસ્તુ વ્હાલામાં વ્હાલી હોઈ શકે જે હું ત્યાંથી લઈ આવું?”
રાણીની આ યુક્તિ જોઈ, તેમજ તે પોતાને એટલી બધી ચાહે છે એ જાણીને બાદશાહને આનંદ થયો અને તેજ દિવસે રાણીને પોતા સાથે લઈ શહેર તરફ પાછો ફર્યો. થોડા દિવસ પછી રાણીએ બાદશાહને ખુશ મીઝાજમાં જોઈ પોતે કરેલી યુક્તિ બીરબલે શીખવી હતી એમ કહી દીધું. બાદશાહે એવી ઉત્તમ યુક્તિ માટે બીરબલને ઘણોજ ધન્યવાદ આપ્યો.
વાર્તા ૨૬.
અક્કલ અને મુર્ખતાની પરિક્ષા.
એક દિવસે બાદશાહે બીરબલને પૂછયું “બીરબલ ! અક્કલવંત કોને કહેવો અને મૂર્ખ કોને ગણવો?"
હાઝર જવાબ બીરબલે કહ્યું “ નામદાર જે માનવિ ધારેલી ધારણામાં સફળતા મેળવે એજ અકકલવંત, શાણો ચતુર અને જ્ઞાની કહી શકાય અને જે પોતાની ધારેલી