દોહરો.
સુત નહીં અબલા કર સકે, મન નહીં સિંધુ સમાય;
ધર્મ ન પાવક મેં જલે, કીર્તિ કાલ નવ ખાય.
આ જવાબ સાંભળી બધા. “ વાહ, વાહ પોકારી ઉઠ્યા. પેલો કવિ પણ આનંદ પામ્યો, એટલે બાદશાહે બન્નેને ઈનામ આપ્યા.
વાર્તા ૪૧.
સુખી કોણ?
એક વેળા ભર દરબારમાં બાદશાહે પૂછયું “બીરબલ ! સુખી કોણ?”
બીરબલે કહ્યું “નામદાર! જીવતું માણસ કોઈ કાળે પણ સુખી ન કહી શકાય. એતો મૂવા પછીજ સુખી કહેવાય છે.”
બાદશાહે પૂછયું “તેનું શું કારણ?”
બીરબલ બોલ્યો “જે માણસ આજે સુખી છે તે કાલે દુઃખદ અવસ્થામાં આવી પડે છે, એટલે કે દુઃખનો માથે ઝઝુમી રહેલો પર્વત કયારે માથે પડશે એ કોઈથી કળી શકાતું નથી અને રાત્રિ દિવસ તેની જ ફીકર રહે છે. એટલે પછી તેને સુખી કયાંથીજ કહેવાય? વળી બ્હારથી સુખી દેખાતા મનુષ્યનું અંતઃકરણ સુખી છે કે દુ:ખી તે કેમ જાણી શકાય? માટે ખરી રીતે તે માણસ મૂવા પછીજ સુખી બને છે.
આ સાંભળી સૌ ચક્તિ થયા, અને બાદશાહના મનને પણ ઘણોજ આનંદ થયો.