એ આશિર્વાદ સાંભળી બાદશાહે તે વૃજવાસીને સવાલ કર્યો કે “ચોબાજી ! તમારો કન્હૈયો ક્યાં છે ?”
મથુરાવાસીએ જવાબ આપ્યો “જહાંપનાહ ! અમારો કાનુડો મથુરામાં છે.”
આ ઉપરથી પેલા વેરાગીને કાંઇક ગમત કરવાની ઈચ્છા થઈ આવી, તેણે ધીમેથી બાદશાહને કહ્યું “ખુદાવિંદ ! એને એ પૂછો કે તમારો કૃષ્ણ તો જરાસંઘના ડરથી ન્હાસીને દ્વારિકામાં જઈ ભરાયો છે. તે મથુરામાં ક્યાંથી હોય?”
પેલા ચોબાજીએ વેરાગીને કાંઈક કહેતાં જોઈ લીધો હતો એટલે જ્યારે બાદશાહે વેરાગીના કહેવા પ્રમાણે ચોબાજીને સવાલ કર્યો, ત્યારે ચોબાજીએ પણ ઝટ જવાબ આપ્યો કે “હુઝૂર ! અમારો કૃષ્ણ મથુરા છોડીને કદિ પણ નાશી ન જાત. પણ આ મુંછ મુંડેલો તમારી પાસે બેઠો છે એની જાતવાળાઓએ અમારા ગામમાં આવી રાત્રિદિવસ ‘હર ભજ, હર ભજ’ ની બુમો પાડી તેને નસાડી મૂક્યો. નહીં તો, મથુરાને એ કદિ પણ ત્યાગ ન કરત.”
આ જવાબ સાંભળીને પેલા વેરાગીને નખથી શિખા પર્યન્ત જાણે અસંખ્ય વીંછીઓના દંશની પેઠે બળતરા થવા લાગી. એવામાં બાદશાહને પણ હસવું આવી ગયું એટલે વેરાગીએ ત્યાંથી ઉઠીને પલાયન કરી જવામાંજ સાર જોયો.
વાર્તા ૧૦૨.
છતી આંખે આંધળા.
એક દિવસે બાદશાહે બીરબલને પૂછ્યું “અરે, બીરબલ ! આ જગતમાં આંધળા વધારે કે દેખતા ?”